મુકેશ અંબાણીએ ડોનાલ્ડ ટ્રંપને ભારત માટે કહ્યા વરદાનરૂપ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ ભારત માટે વરદાન સાબિત થઇ શકે છે. તેમણે આઇટી ઇન્ડસ્ટ્રીને ટ્રંપના વલણને વરદાન તરીકે સ્વીકારવાની સલાહ આપી છે.
એક બાજુ આખું વિશ્વ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ ના વલણને લઇને દુઃખી છે તો બીજી બીજુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ના માલિક મુકેશ અંબાણી ની વિચારસરણી જરા અલગ છે. તેમનું માનવું છે કે, ટ્રંપ ભારત અને અહીંની ઇન્ડસ્ટ્રી માટે વરદાન સાબિત થઇ શકે છે.
ભારતીય આઇટી કંપની પાસે ઉત્પાદકતા વધારવાની તક - અંબાણી
મુંબઇમાં નેસકૉમ ઇન્ડિયા લીડરશિપ ફોરમ દરમિયાન અંબાણીએ ટ્રંપ અંગે પોતાના વિચારો લોકો સમક્ષ રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે, ટ્રંપ ભારત માટે ઉત્કૃષ્ટ સાબિત થઇ શકે છે. તેમના અનુસાર ટ્રંપ ભારતના કૌશલ્ય અને આઇટી ઇન્ડસ્ટ્રીને ભારતમાં પોતાની સમસ્યાઓ દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રેરિત કરશે. અહીં ઘરેલૂ બજાર ઘણી મોટી છે અને ટ્રંપને કારણે લોકોને પોતાની જીવનશૈલી વધુ સારી બનાવવાની તથા ઇન્ડસ્ટ્રીની ઉત્પાદકતા વધારવાની તક મળી શકે છે.
અહીં વાંચો - રેલવે ટિકટ જોઇએ છે? તો સ્ટેશન નહીં બેંકમાં જાવ!
સૌથી રોચક ઇન્ડસ્ટ્રીમાંની એક છે આઇટી ઇન્ડસ્ટ્રી - એન.ચંદ્રશેખરન
મુકેશ અંબાણીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ભારતીય આઇટી કંપનીઓમાં એચ-1બી વિઝા અંગેના ટ્રંપના વલણને કારણે ઘભરાટ પેંઠો છે. ટાટા સન્સના અસ્થાયી ચેરમેન એન.ચંદ્રશેખરને કહ્યું કે, દરેક વખતે ક્યાં તો કોઇ વસ્તુમાં પરિવર્તન આવે છે અને ક્યાં તો કોઇ નવો પડકાર સામે આવે છે. પછી એ એચ-1બી વિઝા હોય કે પછી વિઝાની ફીમાં વધારો હોય, લોકો હંમેશા વાતો કરવા માંડે છે કે આઇટી ઇન્ડસ્ટ્રી જોખમમાં છે. તેમણે કહ્યું કે, આઇટી ઇન્ડસ્ટ્રી સૌથી રોચક ઇન્ડસ્ટ્રીમાંની એક છે.
વિદેશ સચિવે પણ કરી ટ્રંપ પર ટિપ્પણી
આ પહેલાં ભારતના વિદેશ સચિવ એસ.જયશંકરે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અંગે એક મોટું નિવેદન આપ્યું હતું. જયશંકરે કહ્યું હતું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રંપથી ડરવાની જગ્યાએ તેમની રાજનીતિ અને તેના પ્રભાવોને સમજવા વધુ ઉપયોગી સાબિત થશે. તેમણે કહ્યું હતું કે, ટ્રંપના એક્શન કદાચ એ કંપનીઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરનારા હશે, જેણે ટેક્સની ચોરી કરી હોય. તેમનું માનવું છે કે, ભારતીય કંપનીઓએ વધુ ડરવાની જરૂર નથી, કારણ કે તેમણે અમેરિકામાં સર્જનાત્મક કામ તો કર્યું જ છે અને સાથે ટેક્સ અને રોજગારના ક્ષેત્રે પણ તેઓ સાચા રસ્તે છે.