મુલાયમ સિંહે 5 જાન્યૂઆરીનું સત્ર મુલતવી રાખ્યું, શિવપાલ સાથે પહોંચ્યા દિલ્હી
સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમ સિંહ યાદવે 5 જાન્યૂઆરીના સત્રને હાલ મુલતવી રાખ્યું છે. તેઓ શિવપાલ સાથે દિલ્હી જશે.
સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમ સિંહ યાદવે 5 જાન્યૂઆરીના સત્રને હાલ મુલતવી રાખ્યું છે. આ જાણકારી પાર્ટીના ઉત્તરપ્રદેશના એકમ અધ્યક્ષ શિવપાલ સિંહ યાદવે આપી છે. તેમણે આ નિર્ણય પાછળનું કોઇ વ્યાજબી કારણ જણાવ્યું નથી. સૂત્રોની જાણકારી મુજબ મુલાયમ સિંહ યાદવની તબિયત બગડતાં સત્રને મુલતવી રાખવામાં આવ્યું છે. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર અખિલેશ અને મુલાયમ વચ્ચે સમાધાન છાય એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે અને આ કારણે જ સત્રને મુલતવી રાખવામાં આવ્યું છે. બીજા સમાચાર એ છે કે મુલાયમ સિંહ યાદવ અને શિવપાલ યાદવ દિલ્હી પહોંચી ગયા છે.. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ દિલ્હીમાં ચૂંટણી પંચની ઓફિસે જઇ પાર્ટીની વર્તમાન પરિસ્થિતિ અંગે કમિશનને વાકેફ કરશે.
નોંધનીય છે કે, રવિવારે(1 જાન્યૂઆરી) પાર્ટીના મહાસચિવ રામગોપાલ યાદવ દ્વારા બોલાવવામાં આવેલા સત્રમાં અખિલેશ યાદવને સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ સત્રમાં રામગોપાલ યાદવે 4 પ્રસ્તાવ મુક્યા હતા; અખિલેશ યાદવને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવે, મુલાયમ સિંહ યાદવને પાર્ટીના સર્વોચ્ચ અધ્યક્ષ માનવામાં આવે અને શિવપાલ યાદવને ઉત્તરપ્રદેશના એકમ અધ્યક્ષ પદેથી ખસેડવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. ચારેસ પ્રસ્તાવો સર્વસંમતિ સાથે પાસ થયા હતા.
આ સત્ર શરૂ થતાં પહેલાં પાર્ટીના નેતા મુલાયમ સિંહ યાદવે એક પત્ર જાહેર કરતાં કહ્યું હતું કે આ ગેરબંધારણીય છે. આટલું જ નહીં, રાષ્ટ્રીય સત્રમાં સપાના નેતાઓના મુખ્યમંત્રી અખિલેશ યાદવને સર્વસંમતિ સાથે પાર્ટી અધ્યક્ષ માની લીધા બાદ સીએમ નરેશ ઉત્તમને પાર્ટીના ઉત્તરપ્રદેશના એકમ અધ્યક્ષ ઘોષિત કરવામાં આવ્યા હતા. આ સત્ર પૂરું થયા બાદ મુલાયમ સિંહ યાદવે રામગોપાલ યાદવને ફરીથી 6 વર્ષ માટે પાર્ટીની બહાર હાંકી કાઢ્યા હતા.