જાતિય સતામણી: FIR વિના જ બંધ થશે TVF CEO વિરુદ્ધનો કેસ
ટીવીએફની સીઇઓ અરુણાભ કુમારના કેસમાં કોઇ પીડિતા સામે ન આવતાં આખરે કેસ બંધ કરવામાં આવશે.
ટીવીએફના સીઇઓ અરુણાભ કુમાર પર એક મહિલા કર્મચારી દ્વારા જાતિય સતામણી નો આરોપ લગાવવામાં આવ્યો હતો. મહિલા કર્મચારીએ એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાની આપવીતી વર્ણવી હતી. ત્યાર બાદ બીજી ઘણી મહિલાઓએ અરુણાભ પર જાતિય સતામણીનો આરોપ લગાવ્યો હતો. જો કે, અત્યાર સુધીમાં આમાંથી કોઇ મહિલા દ્વારા ઓફિશિયલી ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ અને પીડિતાના ઓફિશિયલ નિવેદનના અભાવે મુંબઇ પોલીસ આ કેસ બંધ કરવા જઇ રહી છે.
50 મહિલાઓએ કરી હતી ફરિયાદ
મહિલા કર્મચારીએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, તેણે ઓફિસમાં લગભગ બે વર્ષ સુધી અરુણાભની ગેર-વર્તણુક સહન કરી હતી. 12 માર્ચથી 15 માર્ચ સુધીમાં આ મામલે લગભગ 50 મહિલાઓ અરુણાભ વિરુદ્ધ આવી જ ફરિયાદ લઇને સામે આવી હતી, પરંતુ આમાંથી કોઇએ પોલીસ મથકમાં ઓફિશિયલ ફરિયાદ નોંધાવી નથી.
મુંબઇ પોલીસને એડવોકેટ સિદ્દીકીનો પત્ર
ઉપલબ્ધ માહિતી અનુસાર રિઝવાન સિદ્દીકી નામના એડવોકેટ દ્વારા ત્રણ વાર મુંબઇ પોલીસને વિનંતી કરવામાં આવી હતી કે, અરુણાભ વિરુદ્ધ જાતિય સતામણીના ગુના હેઠળ ફરિયાદ નોંધવામાં આવે. તેમણે આ અંગે મુંબઇ પોલીસને પત્ર લખ્યો હતો. જો કે, તેઓ પણ પીડિતાઓને નિવેદન નોંધાવવા માટે રાજી નથી કરી શક્યાં. આ કારણે આ કેસ અહીં જ બંધ કરવામાં આવશે. મુંબઇ પોલીસ આ અંગે એડવોકેટ સિદ્દીકીના પત્રનો પણ જવાબ આપશે, જેમાં આ કેસની તપાસ બંધ થઇ હોવાની સૂચના ટાંકવામાં આવશે.
FIR વિના બંધ થશે કેસ
મુંબઇ પોલીસના સુત્રો અનુસાર આ મામલે હજુ સુધી કોઇ એફઆઇઆર નોંધાઇ નથી તથા આ અઠવાડિયાના અંત સુધીમાં આ કેસ કોઇ એફઆઇઆર વિના જ બંધ કરવામાં આવશે. મુંબઇ પોલીસ અનુસાર, માત્ર સોશિયલ મીડિયા પોસ્ટ એ એફઆઇઆર નોંધવા માટે પર્યાપ્ત નથી. તમામ મહિલાઓએ સોશિયલ મીડિયા પર પોતાની આપવીતી વર્ણવી છે, પરંતુ એમાંથી કોઇએ પોલીસ મથકમાં આવી ફરિયાદ નોંધાવવાની પહેલ કરી નથી. આ કારણે અરુણાભને પણ નિવેદન લેવા માટે પોલીસ મથક બોલાવવામાં નહીં આવે.
અહીં વાંચો - છે કોંગ્રેસના દિગ્ગજ નેતા, પણ વખાણ કર્યા PM મોદીના...
જો કે, આ સાથે જ પોલીસે ઉમેર્યું હતું કે, જો આ તબક્કે કે કેસની તપાસ બંધ થયા પછી પણ કોઇ પીડિતા ફરિયાદ નોંધાવવા સામે આવશે, તો તુરંત એફઆઇઆર નોંધવામાં આવશે.