ભટ્ટની પત્નીને ઉમેદવાર બનાવી કોંગ્રેસ ખુલ્લી પડી ગઇ
ભાજપ પ્રવક્તા પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે કોંગ્રેસ આજે સંપૂર્ણ રીતે ખુલ્લી પડી ગઇ છે. છેલ્લા દસ વર્ષથી ખોટો પ્રચાર કરી રહી છે, તેણે ગુજરાતને બદનામ કર્યું છે. તેમજ સંજીવ ભટ્ટને એક પ્યાદાની જેમ ઉપયોગ કર્યો છે. તેમણે જણાવ્યું કે ભટ્ટની પત્નીને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઉતારીને એ સાબિત કરી દીધું છે કે તેમની પાછળ કોનો સપોર્ટ હતો.
ભાજપ પ્રવક્તાએ જણાવ્યું કે એમાં હવે કોઇ શંકા નથી કે છેલ્લા દસ વર્ષમાં સંજીવ ભટ્ટે મોદી સરકાર સામે જે અભિયાન ચલાવ્યું હતું તેની પાછળ કોંગ્રેસનો હાથ હતો. આ ગુજરાતની સામે કોંગ્રેસની રાજનૈતિક કાવતરૂ હતું જનો જવાબ ખુદ ગુજરાતની જનતા કોંગ્રેસને ચૂંટણીમાં આપશે.
શ્વેતાએ આજે અમદાવાદની મણિનગર બેઠક પર કોંગ્રેસ તરફથી નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડવા માટે ઉમેદવારી પત્ર ભર્યું છે. દરમિયાન શ્વેતા ભટ્ટે જણાવ્યું કે તેઓ મોદી સામે લડવા સક્ષમ છે. અને તેમની લડાઇ સત્યની લડાઇ છે. તેવું જણાવી તેમણે લોકોને તેમને સાથ આપવા આહ્વાન કર્યું હતું.
આ અંગે ભાજપના મહામંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે "મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે ટક્કર ઝીલી શકે તેવો એક પણ ઉમેદવાર કોંગ્રેસ પાસે નથી. આથી કોંગ્રેસે પોતાનું નાક કપાતું બચાવવા માટે સંજીવ ભટ્ટના પત્ની શ્વેતા ભટ્ટને ટિકીટ આપી હોય એવું બને. આમ કરવાથી નરેન્દ્ર મોદી સામે કયો ઉમેદવાર ઉતારવો તેની ચિંતા તો જશે સાથે લોકોમાં આ મુદ્દે ચર્ચા પણ જાગશે."
ભાજપ મહિલા મંચની અધ્યક્ષ સ્મૃતિ ઇરાણીએ જણાવ્યું કે મણિનગરમાંથી હવે મોદીની જીત પાક્કી છે, પરંતુ આ નિર્ણયથી સંજીવ ભટ્ટના પરિવારે સાબિત કરી દીધું છે કે તેઓ અત્યાર સુધી કોંગ્રેસ તરફથી રાજકીય લડાઇ લડી રહ્યા હતા.