માર્યા ગયેલા આતંકીઓને કોણે આપી 2000 ની નોટો?
સીમા પર ચાલી રહેલ પાકિસ્તાનની નાપાક હરકતો વચ્ચે જમ્મૂ કાશ્મીરમાં માર્યા ગયેલા આતંકીઓ પાસેથી 2000 ની નોટો મળી આવી છે...
જમ્મૂ કાશ્મીરના બાંદીપુર વિસ્તારમાં મંગળવારે સવારે સુરક્ષાબળો સાથેની અથડામણમાં માર્યા ગયેલા બે આતંકીઓને લઇને ચોંકાવનારો ખુલાસો થયો છે. આ આતંકવાદીઓ પાસેથી 2000 રુપિયાની નવી નોટો મળી છે.
આ ઉપરાંત તેમની પાસેથી આશરે 15 હજાર રુપિયાની રોકડ અને વિસ્ફોટક પદાર્થો પણ મળ્યા છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની નાપાક હરકતો વચ્ચે મંગળવારે જમ્મૂ કાશ્મીરના બાંદીપુરા જિલ્લામાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે જબરદસ્ત વચ્ચે અથડામણ થઇ.
બે આતંકવાદીઓ ઠાર મરાયા
આ અથડામણમાં સુરક્ષાબળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ અથડામણ મંગળવારે સવારે બાંદીપુર વિસ્તારમાં 2 કલાક ચાલી હતી. આતંકવાદીઓ માર્યા ગયા બાદ આ વિસ્તારમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ છે. આ દરમિયાન જમ્મૂ કાશ્મીરના આરએસપુરા સેક્ટરમાં એક પાકિસ્તાની ઘૂસણખોરને પણ બીએસએફે મારી દીધો છે. બીએસએફે નિવેદન આપીને ઘૂસણખોરના માર્યા જવાની પુષ્ટિ આપી છે. બીએસએફના અધિકારીઓએ જણાવ્યુ કે જવાનોએ ઘૂસણખોરી કરી રહેલ વ્યક્તિને પહેલા ચેતવણી આપી હતી. ચેતવણી બાદ પણ તે વ્યક્તિ ના રોકાયો ત્યારે બીએસએફના જવાનોએ તેને મારી દીધો.
આ પહેલા સોમવારે જમ્મૂ કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં પાકિસ્તાન તરફથી સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યુ હતુ. ગોળીબારમાં બીએસએફના હેડ કોંસ્ટેબલ રાય સિંહ શહીદ થઇ ગયા હતા. આ ગોળીબારમાં ભારતીય સેનાના 4 જવાન પણ ઘાયલ થયા હતા. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી ગોળીબારનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો.
થોડા દિવસ પહેલા પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામના ઉલ્લંઘન બાદ ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપતા પાક સેનાના 7 જવાન ઠાર માર્યા હતા. પાકિસ્તાની સેનાએ પણ આ વાત સ્વીકારી હતી.