બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે આપ્યું રાજીનામું
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે આપ્યું રાજીનામું
બિહારમાં રાજકારણમાં મોટું પરિવર્તન જોવા મળી રહ્યું છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. જેડીયૂના ધારાસભ્યોની બેઠક પછી તુરંત જ નીતીશ કુમાર રાજ્યપાલ કેશરીનાથ ત્રિપાઠીને મળવા પહોંચ્યા હતા અને તેમણે રાજીનામું આપી દીધું હતું. બિહારની ડેપ્યૂટી સીએમ તેજસ્વી યાદવના મુદ્દે મહાગઠબંધનમાં ચાલી રહેલ ઘર્ષણને પરિણામે નીતીશ કુમારે રાજીનામું આપ્યું હોવાનું કહેવાય છે. જેડીયૂ તરફથી સતત તેજસ્વી યાદવના રાજીનામાની માંગણી થઇ રહી હતી, પરંતુ આરજેડી આ માટે તૈયાર નહોતું. આ બધા વચ્ચે બુધવારે સાંજે જેડીયૂની બેઠક બાદ નીતીશ કુમારે રાજ્યભવન પહોંચી રાજીનામું આપી દીધું હતું.
આ પહેલાં આરજેડીના ધારાસભ્યોના દળની બેઠક બાદ આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે સ્પષ્ટતા કરી હતી કે, તેજસ્વી યાદવ રાજીનામું નહીં આપે. સાથે જ તેમણે કહ્યું હતું કે, 'નીતીશ કુમાર નારાજ નથી. તેમની સાથે વાચતીત થઇ રહી છે. નીતીશ કુમારે એક વાર પણ તેજસ્વી યાદવના રાજીનામાની વાત નથી કહી.' તેજસ્વી યાદવના રાજીનામાના મુદ્દે આરજેડીના આ આખરી નિર્ણય બાદ જેડીયૂ સાથે બેઠક કરી નીતીશ કુમારે રાજીનામું આપી દીધું હતું. તેમના રાજીનામાં સાથે જ અનેક સવાલો ઊભા થઇ રહ્યાં છે.
બિહાર વિધાનસભાનું ગણિત:
બિહાર વિધાનસભાના 243 સભ્યોમાં રાજદના 81 ધારાસભ્યો છે, જ્યારે જેડીયૂના 70 અને કોંગ્રેસના 27 સભ્યો છે. ત્રણેય દળોને મળીને ધારાસભ્યોની કુલ સંખ્યા 178 થાય છે. સરકાર બની રહે એ માટે માત્ર 122 ધારાસભ્યોના સમર્થનની જરૂર પડે છે. જો નીતીશ આરજેડી સાથે છેડો ફાડી એનડીએમાં જાય, તો કોંગ્રેસના 27 ધારાસભ્યો પણ સરકારમાંથી ખસી જશે. આ પરિસ્થિતિમાં નીતીશ કુમારને સરકાર બચાવવા માટે વધુ 51 ધારાસભ્યોની જરૂર પડશે. વિધાનસભામાં ભાજપ પાસે 53 ધારાસભ્યો છે, તેઓ જો નીતીશ કુમાર સાથે થઇ જાય તો સરકારને કોઇ જોખમ ન નડે.