નીતીશ કુમારે 6ઠ્ઠી વાર લીધી CM પદની શપથ
ભાજપના સમર્થન સાથે નીતીશ કુમાર બન્યા બિહારના મુખ્યમંત્રી, સુશીલ કુમાર મોદી નાયબ મુખ્યમંત્રી.
બિહારના રાજકારણના સમીકારણમાં નીતીશ કુમારના રાજીનામાંથી રાતોરાત મોટા પરિવર્તન આવ્યા છે. લગભગ 20 મહિનાથી બિહારમાં સત્તામાં રહેલું રાષ્ટ્રીય જનતા દળ, જનતા દળ યુનાઇટેડ અને કોંગ્રેસનું ગઠબંધન તૂટી ગયું છે. નીતીશ કુમાર હવે ભાજપ સાથે ગઠબંધન કરી સરકાર બનાવી છે. આ માટે ગુરૂવારે સવારે 10 વાગે તેમને રાજ્યભવન બોલાવવામાં આવ્યા હતા.
ગુરૂવારે સવારે 10 વાગે નીતીશ કુમાર છઠ્ઠી વાર મુખ્યમંત્રી તરીકેની શપથ લીધી હતી. રાજ્યપાલ કેશરી નાથ ત્રિપાઠીએ નીતીશ કુમારને મુખ્યમંત્રી અને સુશીલ કુમાર મોદીને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ અપાવી હતી. હવે શપથગ્રહણ બાદ તા.28ના રોજ જદયુએ વિધાનસભામાં વિશ્વાસ મત સાબિત કરવાનો રહેશે. ગુરૂવારે સવારથી બિહારના પટનામાં રાજ્યભવન ખાતે શપથ ગ્રહણ સમારંભની તૈયારીઓ શરૂ થઇ ગઇ હતી, ત્યાં બીજી બાજુ રાજદના સમર્થકોએ ઉત્તર બિહારને પટના સાથે જોડતો મહાત્મા ગાંધી સેતુ બ્લોક કરી દીધો હતો.
રાજ્યપાલ દ્વારા બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા માટે નીતીશ કુમારને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેના વિરોધમાં બિહારના સૌથી મોટા પક્ષ રાજદે રાજ્યભવનનો ઘેરાવો કરવાની વાત કહી હતી. બુધવારે રાત્રે જ બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યું હતું કે, રાજ્યમાં સૌથી મોટા પક્ષ તરીકે રાજદ જ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.
તેજસ્વી યાદવ અને રાજદના નેતાઓને રાજ્યપાલે સવારે 11 વાગે મળવા બોલાવ્યા હતા અને નીતીશ કુમારને શપથ ગ્રહણ કરવા 10 વાગે બોલાવવામાં આવ્યા હતા. આ અંગે પણ તેજસ્વી યાદવે સવાલો કર્યા હતા. તેમણે ટ્વીટ કરી કહ્યું હતું કે, ગવર્નરને આટલી જલ્દી શું છે?
Governor gv us time of 11AM and now suddenly has asked NDA for oath ceremony at 10AM. Why so much hurry & rush Mr. Honest & Moral?
— Tejashwi Yadav (@yadavtejashwi) July 26, 2017