બજેટ અંગે સુપ્રિમ કોર્ટ અને ચૂંટણી પંચે લીધો મોટો નિર્ણય
સુપ્રિમ કોર્ટના નિર્ણય અનુસાર બજેટ 1 ફેબ્રૂઆરીના રોજ જ રજૂ થશે. તો ચૂંટણી પંચે નિર્ણય લીધો છે કે બજેટમાં એવી કોઇ પણ ઘોષણા કરવામાં નહીં આવે, જે કોઇ એક રાજ્ય માટે હોય.
કેન્દ્ર સરકાર 1 ફેબ્રૂઆરી, 2017ના રોજ જ બજેટ રજૂ કરશે. વિપક્ષો દ્વારા સુપ્રિમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે, બજેટની તારીખ 1 ફેબ્રૂઆરીથી આગળ વધારવામાં આવે, સુપ્રિમ કોર્ટે આ અરજી નકારી કાઢી છે. મનોહર લાલ શર્માએ સુપ્રિમ કોર્ટમાં આ અરજી દાખલ કરતાં કહ્યું હતું કે, પાંચ રાજ્યોમાં યોજાનાર ચૂંટણીઓને ધ્યાનમાં રાખતા બજેટની તારીખ આગળ વધારવામાં આવે. જો કે, સુપ્રિમ કોર્ટે આ અરજી ફગાવતાં હવે બજેટ 1 ફેબ્રૂઆરીના રોજ જ રજૂ થશે.
મનોહર લાલ શર્માની અરજી
મનોહર લાલ શર્માએ કહ્યું હતું કે, મેં અરજીમાં રજૂઆત કરી છે કે પાંચ રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખતા કોર્ટ હાલ બજેટ રજૂ કરવા પર રોક લગાવે, કારણ કે ચૂંટણી દરમિયાન જનતાને અનેક પ્રકારની મુશ્કેલીઓ ભોગવવી પડે છે. આ અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાના મામલે કોર્ટે કહ્યું હતું કે, તેઓ આ મામલે જાતે યોગ્ય સમય નક્કી કરી સુનાવણી કરશે. ગયા અઠવાડિયે કેબિનેટ સચિવાલયે ચૂંટણી પંચને પત્ર લખી જાણકારી માંગી હતી કે, બજેટ રજૂ કરવા અંગે કે બજેટની તારીખ આગળ વધારવા અંગે વિપક્ષી પાર્ટીઓનું શું માનવું છે.
કેન્દ્ર સરકારના કામકાજથી મતદારો થશે પ્રભાવિત
સરકારે સાફ કર્યું છે કે, બજેટ સંપૂર્ણ દેશ માટે છે, માત્ર અમુક રાજ્યો માટો નહીં. વિપક્ષી પાર્ટીઓની દલીલ છે કે, કેન્દ્ર સરકાર બજેટ દ્વારા મતદારોને લલચાવવાનો પ્રયત્ન કરી શકે છે. બજેટમાં વિવિધ યોજનાઓની ઘોષણા કરી સરકાર મતદારોને પોતાની તરફ આકર્ષિત કરી શકે છે મતદારો પણ સરકારના કામકાજથી પ્રભાવિત થઇ શકે છે. નોંધનીય છે કે, બજેટને કારણે 1 એપ્રિલથી અનેક પ્રકારના પરિવર્તનો લાગુ પડશે.
ચૂંટણી પંચનો નિર્ણય
પાંચ રાજ્યોમાં યોજાનાર ચૂંટણીને ધ્યાનમાં રાખતાં ચૂંટણી પંચે નિર્ણય લીધો છે કે, આ વખતના બજેટમાં કોઇ પણ એવી ઘોષણા કરવામાં નહીં આવે, જે કોઇ એક રાજ્ય માટે હોય. જેથી બજેટની કોઇપણ ઘોષણાથી કોઇ રાજકારણીય પાર્ટીને ચૂંટણીમાં કોઇ પણ પ્રકારનો ફાયદો ન થાય અને વિધાનસભા ચૂંટણી સંપૂર્ણ નિષ્પક્ષતા સાથે થઇ શકે. આ સિવાય ચૂંટણી પંચ એ અંગે પણ નિર્ણય લઇ શકે છે કે, જે રાજ્યોમાં ચૂંટણી યોજાનાર છે એ રાજ્યોની કોઇ પણ પ્રકારની ઉપલબ્ધિનો સરકાર તરફથી ઉલ્લેખ કરવામાં ન આવે. એટલું જ નહીં, જો ભવિષ્યમા ચૂંટણી પંચને લાગે કે બજેટની કોઇ ઘોષણાથી કોઇ રાજકારણીય ફાયદો થઇ શકે છે, તો તે તેની પર પણ રોક લગાવી શકે છે.
અહીં વાંચો - જાણો કેવી રીતે પેટ્રોલ પંપવાળા તમારી સાથે કરે છે છેતરપીંડી
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, પંજાબ અને ગોવામાં ફેબ્રૂઆરી, માર્ચ દરમિયાન વિધાનસભા ચૂંટણી યોજાનાર છે અને બજેટની તારીખ 1 ફેબ્રૂઆરી નક્કી કરવામાં આવી છે. આથી આ પરિસ્થિતિઓમાં ચૂંટણી પંચનો આ નિર્ણય ખૂબ મહત્વનો સાબિત થાય છે. બજેટની કોઇ પણ ઘોષણા દ્વારા વિધાનસભા ચૂંટણીઓ પ્રભાવિત ન થાય અને કોઇ રાજકીય પક્ષને એનો પરોક્ષ લાભ ન મળે એ માટે ચૂંટણી પંચ પૂરતા પ્રયત્નો કરી રહી છે.