પન્નીરસેલ્વમે બેંકને લખ્યું, પાર્ટીના પૈસા તેમને પૂછીને જ આપવામાં આવે
તમિલનાડુના અસ્થાયી મુખ્યમંત્રી પન્નીરસેલ્વમે પોતાને પાર્ટીના કોષાધ્યક્ષ જાહેર બેંકને પત્ર લખ્યો છે કે, તેમની પરવાનગી બાદ જ બેંકના પાર્ટીના ખાતામાંથી કોઇને પણ રૂપિયા આપવામાં આવશે.
તમિલનાડુ માં રાજકારણના વિવાદે જોર પકડ્યું છે, પન્નીરસેલ્વમ કે શશિકલા બેમાંથી કોઇ ઝુકવા તૈયાર નથી. આ બેમાંથી વિજય કોનો થશે એ તો થોડા જ કલાકોમાં નક્કી થઇ જશે, પરંતુ એ પહેલાં પન્નીરસેલ્વમ પોતાને મુખ્યમંત્રી પદના ખરા દાવેદાર સાબિત કરવા માટે એક ડગલું આગળ વધી ગયા છે. તેમણે બેંકને એક પત્ર લખ્યો છે કે, તેઓ પાર્ટીના કોષાધ્યક્ષ છે અને તેમની પરવાનગી વિના પાર્ટી ફંડમાંથી કોઇને પણ રૂપિયા આપવામાં ન આવે.
ઉલ્લેખનીય છે કે, અન્નામુદ્રક ના અધ્યક્ષ શશિકલાએ મંગળવારે મોડી રાતે પન્નીરસેલ્વમને પાર્ટીના કોષાધ્યક્ષ પદેથી ખસેડી દીધા હતા. તમિલનાડુના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ પન્નીરસેલ્વમે બળવાખોર વલણ અપનાવતાં મંગળવારે સાંજે શશિકલા પર અનેક આરોપ લગાવ્યાં હતા. જેના પરિણામ સ્વરૂપ તેમને પાર્ટીના તમામ પદો પરથી ખસેડ્યા હોવાની જાહેરાત શશિકલાએ કરી હતી.
પન્નીરસેલ્વમના બળવાખોર વલણ બાદ તમિલનાડુમાં રાજકારણીય વિવાદોએ મોટું સ્પરૂપ ધારણ કર્યું છે. બુધવારે અન્નામુદ્રકના અધ્યક્ષ અને ધારાસભ્યોના નવા નેતા શશિકલાના નેતૃત્વમાં યોજાયેલી બેઠકમાં 131 ધારાસભ્યો હાજર રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. હવે ગુરૂવારના રોજ રાજ્યપાલ સી.વિદ્યાનગર રાવ ચેન્નાઇ આવશે અને આખા ઘટનાક્રમ પર નજર કરી અંતિમ નિર્ણય લેશે.
અહીં વાંચો - પન્નીસેલ્વમનો બળવો, તમિલનાડુમાં હાઇ-વોલ્ટેજ રાજકારણીય નાટક શરૂ