તાજમહેલ ચમકી ગયું, પણ ઓબામા નહીં જાય જોવા!
નવી દિલ્હી, 24 જાન્યુઆરી: ગણતંત્ર દિવસના અવસર પર ભારતના ખાસ મહેમાન અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતાનો આગરા પ્રવાસ રદ કરી દીધો છે. હવે રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેમની પત્ની મિશેલ ઓબામા તાજમહેલની ભવ્યતા અને સુંદરતાને માણવા માટે નહીં જાય. અત્યાર સુધીના પ્રસ્તાવિત પ્રવાસ અનુસાર ઓબામા પોતાના ત્રણ દિવસીય પ્રવાસના ત્રીજા દિવસે આગરા જઇને તાજ મહેલની મજા માણવાના હતા, પરંતુ હવે તેમનો આ પ્રવાસ રદ્દ કરી દેવામાં આવ્યો છે.
જોકે 27 જાન્યુઆરીના રોજ ઓબામા અને તેમની પત્ની મિશેલનો તાજમહેલની મુલાકાતનો કાર્યક્રમ નક્કી હતો, ત્યારબાદ તેઓ અમેરિકા પરત ફરવાના હતા, પરંતુ હવે તેમના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ઓબામા દિલ્હીથી સીધા સાઉદી અરબ જશે અને ત્યાંથી અમેરિકા. ઓબામા સાઉદીના સુલ્તાન શાહ અબ્દુલ્લાના નિધન પર શોક પ્રકટ કરવા માટે સાઉદી અરબ જવાના છે.
સફાઇ ઝૂંબેશની વાત કરીએ તો, તાજમહેલ અને નજીકના દસ કિલોમીટરના રસ્તાઓને ચમકાવવા માટે હાલ 600 જેટલા સફાઈકર્મીઓને કામે
લગાવી દેવામાં આવ્યા હતા. મજાની વાત એ છે કે સફાઇકર્મીઓ સાબુવાળા પાણીથી પોતા અને બ્રશ લઈને અહીંના રસ્તાઓને ઘસી ઘસીને સાફ કરી રહ્યા હતા. આ માટે આ સફાઈકર્મીઓને પ્રતિ દિવસના 300 રૂપિયાનો પગાર નક્કી કરવામાં આવ્યો હતો.