વનઇંડિયા સર્વે મુજબ નોટબંધીનો નિર્ણય યોગ્ય, 2000 ની નોટ લાંબાગાળે નડશે
હાલમાં જ વનઇંડિયા દ્વારા સરકારના નોટબંધીના નિર્ણય અંગે એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેના પરિણામો વિશે વાંચો અહીં...
8 નવેમ્બરથી સમગ્ર દેશમાં એક જ વાત ચાલી રહી છે અને તે છે નોટબંધી. કારણ એ કે નોટબંધીની દેશના દરેક નાગરિક પર વધતે ઓછે અંશે અસર પડી રહી છે. દરેક નાગરિક પર કેવી અસર પડી તે જાણવા માટે વનઇંડિયાના દરેક પોર્ટલ (અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને બંગાળી) દ્વારા હાલમાં એક સર્વે હાથ ધરવામાં આવ્યો.
સકારાત્મક પ્રતિભાવો
જેમાં તેમને પૂછવામાં આવ્યુ હતુ કે, 'શું મોદી સરકારનો નોટ રદ્દ કરવાનો નિર્ણય યોગ્ય છે?'સર્વેના ખૂબ જ સકારાત્મક પ્રતિભાવો જોવા મળ્યા. જે તેના પરિણામો પરથી જાણી શકાય છે. સર્વેના પરિણામો મુજબ 22357 લોકોએ મોદી સરકારના નોટબંધીના નિર્ણયને યોગ્ય ગણાવ્યો જ્યારે 8003 લોકોએ આ નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે. તો વળી 835 લોકો અસમંજસવાળી પરિસ્થિતિમાં જણાયા કારણકે તેમનું માનવુ હતુ કે આ નિર્ણય પર અત્યારે હાલ કંઇ કહી શકાય નહિ.
કાળાનાણાનો નાશ
સર્વે મુજબ 54.3% લોકોનું માનવુ છે કે આ નિર્ણયથી કાળાનાણાનો સંપૂર્ણપણે નાશ થશે જ્યારે 45.7% લોકોનું માનવુ છે કે આ નિર્ણયથી કાળાનાણામાં વધારો થશે.
પબ્લિસિટી સ્ટંટ
સર્વે પ્રમાણે 65.7% લોકો માને છે કે આ નિર્ણય કોઇ પબ્લિસિટી સ્ટંટ નથી. આ નિર્ણયથી લાંબા ગાળે ફાયદો ચોક્કસ થશે. જ્યારે અમુક લોકોનું માનવુ છે કે આ નિર્ણયથી સામાન્ય માણસનું જીવન બરબાદ થઇ ગયુ છે.
આશાવાદ
પરિણામો દર્શાવે છે કે સરકારના દાવાઓ જેવા કે નોટબંધીથી દેશનું કાળુનાણુ બહાર આવશે, આતંકવાદીઓને મળતી મદદ બંધ થશે. નકલી નોટોનો વેપાર બંધ થશે, મકાનો સસ્તા થશે, વગેરે પરત્વે લોકો મહદ અંશે આશાવાદ સેવી રહ્યા છે. હાલમાં પડી રહેલી મુશ્કેલીઓ બાદ પણ દેશ પ્રત્યે તેઓ હકારાત્મક વલણ દાખવી રહ્યા છે.
2000 ની નોટ જોખમી
આ જ સર્વેમાં લોકોને બીજો એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે, 'કાળુનાણુ રોકવા માટે 1000 ની નોટ બંધ કરવામાં આવી તો 2000 ની નોટથી શું પરિસ્થિતિ વધુ બગડશે નહિ?' આ પ્રશ્નના જવાબમાં 16127 લોકોએ કહ્યુ કે આ નિર્ણયનો કોઇ ફાયદો નથી. લાંબા ગાળે તો 2000 ની નોટથી કાળાનાણાને વેગ મળવાનો જ છે. જ્યારે 15067 લોકોનું માનવુ છે કે કાળુનાણુ પાછુ આવતા બહુ લાંબો સમય લાગશે.