ભેંસની જગ્યાએ ખરીદી ગાય, તો મળ્યું મૃત્યુ
પોતાને ગૌરક્ષા સમૂહના સભ્યો ગણાવતા કેટલાક લોકોએ થોડા દિવસ પહેલાં ગાય લઇને જઇ રહેલાં લોકો પર હુમલો કરી તેમને ઢોર માર માર્યો હતો.
હરિયાણા સ્થિત મેવાતના નૂહ તહસીલ નિવાસી પહલૂ ખાન પોતાના પરિવારની આવક વધારવાના હેતુથી ગાય ખરીદવા ગયા હતા. પરંતુ આ ગાય જ તેમના મૃત્યુનું કારણ બની. રાજસ્થાન ના અલવર માં કેટલાક કથિત ગૌરક્ષકો દ્વારા પહલૂ ખાન, તેમના દિકરા ઇરશાદ તથા ભાઇ આરિફ પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમના વાહનમાં ગાય અને વાછરડાં બાંધેલા જોઇ ગૌરક્ષકોએ તેમના પર હુમલો કર્યો હતો તથા ઢોર માર માર્યો હતો. આ મામલે ઇલાજ દરમિયાન એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું.
ગાય નહીં, ભેંસ ખરીદવા ગયા હતા
પહલૂ ખાન ખેડૂત હતા, તેઓ જયસિંહપુર ગામથી રાજસ્થાનના જયપુર શહેરમાં ભેંસ ખરીદવા માટે આવ્યા હતા. 55 વર્ષીય પહલૂ ખાનને જ્યારે ગાય વેચવાવાળાએ તેમની સામે ઊભા-ઊભા જ 12 લિટર દૂધ કાઢીને બતાવ્યું તો તેમણે ભેંસની જગ્યાએ ગાય ખરીદી લીધી.
45 હજારમાં ખરીદી ગાય
પહલૂના દિકરા ઇરશાદે આ અંગે જાણકારી આપી હતી. તેણે કહ્યું કે, ગાય ખરીદવાનો નિર્ણય ખોટો હતો, જેને લીધે મારા પિતાનું મૃત્યુ થયું. અમારી પાસે ગાય ખરીદી હોવાની રસીદ પણ છે. અમે 45 હજાર રૂપિયામાં ગાય ખરીદી છે.
બેલ્ટ અને ડંડા વડે માર માર્યો
પહલૂ ખાનના ભાઇ આરિફે જણાવ્યું કે, પહલૂ ખાન પિકઅપ ગાડીમાં અજમત સાથે હતા, જે તેમના જ ગામનો છે. પહલૂ અને અજમત જે પિકઅપ ગાડીમાં હતા, તેમાં બે ગાય અને બે વાછરડાઓ બાંધેલા હતા. હું અને ઇરશાદ અન્ય ટ્રકમાં હતા, જેમાં 3 ગાય અને 3 વાછરડા હતા. એ લોકોએ અમારી પર બેલ્ટ અને ડંડા સાથે હુમલો કર્યો હતો. લગભગ અડધા કલાક પછી જ્યારે પોલીસ આવી ત્યાં સુધીમાં અમે સૌ બેભાન થઇ ગયા હતા.
અહીં જુઓ - Video:ગાયો લઇ જઇ રહેલાં લોકોને ગૌરક્ષકોએ માર્યો ઢોર માર
આ મામલે અત્યાર સુધીમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ભૂલ બંન્ને તરફથી થઇ છે
અલવરની ઘટના અંગે કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, આ મામલે જરૂરી કાર્યવાહી થવી જોઇએ. તેમણે સદનમાં આ મુદ્દો રજૂ કરવાની પણ વાત કહી હતી. તો બીજી બાજુ રાજસ્થાનના ગૃહમંત્રી ગુલાબચંદ્ર કટારિયાએ કહ્યું છે કે, ભૂલ બંન્ને તરફથી થઇ છે. રાજસ્થાનથી ગૌ-તસ્કરી ન થઇ શકે. આ અંગે કાયદો ઘડવામાં આવ્યો છે.