J&Kના મુદ્દે PMની રાજ્યના મુખ્યમંત્રીઓને મહત્વપૂર્ણ સલાહ
છેલ્લા કેટલાક દિવસોમાં દેશના ઘણા વિસ્તારોમાં કાશ્મીરી વિદ્યાર્થીઓ પર થયેલ હુમલાને ધ્યાનમાં રાખતાં પીએમ મોદીએ રાજ્યના મુખ્યમંત્રીઓને મહત્વપૂર્ણ સલાહ આપી છે.
નીતિ આયોગ ની બેઠકમાં જમ્મુ-કાશ્મીર ની બગડતી પરિસ્થિતિ અંગે ચર્ચા થઇ હતી. રવિવારે યોજાયેલ નીતિ આયોગની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ તમામ રાજ્યોના મુખ્યમંત્રીને અપીલ કરી હતી કે, તેઓ તેમના રાજ્યોમાં રહેતાં જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીનો સંપર્ક કરે.
બેઠક દરમિયાન કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી એ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તે વખતે જ નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓને આ અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ રાજસ્થાનના મેવાડ વિશ્વવિદ્યાલયમાં કાશ્મીરી વિદ્યાર્થીઓ સાથે મારપીટ થઇ હતી. ઉત્તર પ્રદેશના મેરઠમાં કાશ્મીરી વિદ્યાર્થીઓ સંબંધિત પોસ્ટર લગાવવામાં આવ્યા હતા, જેમાં તેમને પોતાના રાજ્યમાં પરત ફરવાનું કહેવામાં આવ્યું હતું. આ ઘટનાઓને ધ્યાનમાં રાખતાં પીએમ મોદીની આ અપીલ ખૂબ મહત્વપૂર્ણ થઇ જાય છે.
નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં પીએ મોદીએ મહેબૂબાના સૂચનનું સમર્થન કર્યું હતું, સીએમ મહોબૂબાએ કહ્યું હતું કે, તમામ રાજ્યોમાં ભણતા કાશ્મીરી વિદ્યાર્થીઓ પર ધ્યાન આપવામાં આવે.
અહીં વાંચો - શું ખરેખર રજનીકાંત બનશે ભારતના રાષ્ટ્રપતિ?
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી આ નીતિ આયોગ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગેરહાજર રહ્યાં હતા.