"આઝાદીની 75મી વર્ષગાંઠ પર આપણા દેશ માટે સંકલ્પ લઇએ"
અલાહાબાદ હાઇ કોર્ટની 150મી વર્ષગાંઠ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં પહોંચ્યા હતા. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પણ ત્યાં હાજર રહ્યા હતા.
અલાહાબાદ હાઇ કોર્ટ ની 150મી વર્ષગાંઠના પ્રસંગે 2જી એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. આ સાથે જ સુપ્રીમ કોર્ટ ના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ખેહર પણ અહીં હાજર રહ્યા હતા. વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ એરપોર્ટ પહોંચ્યા હતા અને પીએમને પુષ્પગુચ્છ આપી તેમનું સ્વાગત કર્યું હતું.
ન્યાય વ્યવસ્થા માટે સરકાર પૂરો સહયોગ કરશે
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને સંબોધિત કરતાં કહ્યું કે, ભારતના ન્યાય વિશ્વમાં અલાહાબાદની 150 વર્ષ જુની ફોજ, એ ભારતના ન્યાય વિશ્વનું તિર્થ ક્ષેત્ર છે. આ તિર્થ ક્ષેત્રના મહત્વપૂર્ણ તબક્કા પર આપ સૌની વચ્ચે આવી તમને સાંભળવાની અને સમજવાની મને તક મળી, મને કેટલીક વાતો તમને કહેવાની તક મળી, એનો મને ગૌરવ છે. ચીફ જસ્ટિસે પણ પોતાના મનની વાત લોકો સમક્ષ કરી, તેમની વાત મેં ધ્યાનથી સાંભળી, તેમના દરેક શબ્દમાં મને પીડા અનુભવાઇ. ભારતના ન્યાય વિશ્વમાં આ નેતૃત્વ હેઠળ મને વિશ્વાસ છે કે, તેમના તમામ સંકલ્પો પૂરા થશે. સરકારનો સવાલ છે ત્યાં સુધી હું ખાતરી સાથે કહું છું કે, અમારું જે યોગદાન છે, એ પૂરું કરવાનો અમે પૂરો પ્રયાસ કરીશું.
પીએમ મોદીના ભાષણના મુખ્ય અંશો
- ભારત સરકારની ન્યાય વ્યવસ્થાને ટેક્નોલોજીના માધ્યમથી સરળ બનાવવામાં આવી રહ્યું છે.
- અત્યાર સુધીમાં અમે 1200 કાયદાઓ પર પૂર્ણવિરામ મુક્યો છે.
- યુગ બદલાયો છે, વર્ષ 2014માં હું જ્યારે ચૂંટણી પ્રચાર કરી રહ્યો હતો ત્યારે દેશના ઘણા લોકો માટે હું અપરિચિત હતો. એક નાનકડા સમારંભ ત્યારે મેં કહ્યું હતું, હું કેટલા નવા કાયદા ઘડીશ એ તો મને નથી ખબર, પરંતુ રોજ એક કાયદા પર પૂર્ણવિરામ ચોક્કસ મુકીશ.
- આવો વર્ષ 2022 માટે કોઇ સંકલ્પ તૈયાર કરીએ, જ્યારે આઝાદીના 75 વર્ષ પૂરા થાય ત્યારે આપણે સૌએ એક મોટો સંકલ્પ પણ લેવો જોઇએ.
- આઝાદીના 75 વર્ષ બાદ વર્ષ 2022માં લોકો એક સંકલ્પ લે, ભારતને નવી ઊંચાઇઓ પર લઇ જઇએ.
જજોએ 5 દિવસ વધુ કામ કરવાની જરૂર છે
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ખેહરે આ પ્રસંગે કહ્યું કે, અલાહાબાદ હાઇ કોર્ટે અનેક ઐતિહાસિક નિર્ણયો લીધા છે. આ પહેલાં શાહ મોહમ્મદ સુલેમાનને ચીફ જસ્ટિસ ઓફ અલાહાબાદ હાઇ કોર્ટ તરીકે ભારતીય નાગરિકોની સેવા કરવાની તક મળી હતી. તેઓ 1932-37 દરમિયાન તેઓ આ પદ પર હતા. અલાહાબાદ હાઇ કોર્ટના 20 જજ સુપ્રીમ કોર્ટના જજ બન્યા છે. જજ થાક્યા વગર સતત કામ કરતા રહે છે. જજોની ખોટને કારણે લોકોને ઘણી હેરાનગતિ ભોગવવી પડે છે. માત્ર લખનઉમાં જ 2 લાખ કેસો પેન્ડિંગ છે. જજોએ પાંચ દિવસ વધુ કામ કરવાની જરૂર છે, જેથી વધુમાં વધુ મામલાઓ ઉકેલી શકાય.
કાયદાનું સ્થાન શાસકથી ઊંચુ હોય છે - યોગી આદિત્યનાથ
આ કાર્યક્રમમાં સંબોધન કરતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, પ્રજાતંત્રની સ્વતંત્રતા કાયદા પર આધારિત છે, કાયદાનું સ્થાન શાસકથી ઊંચુ હોય છે, કાયદાથી મોટું કોઇ નથી. સમાજમાં ન્યાયપાલિકાની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ હોય છે. વર્તમાન ન્યાયિક વ્યવસ્થામાં પ્રાચીન ન્યાય વ્યવસ્થાની અસર દેખાઇ આવે છે. પ્રાચીન ભારતના ઋષિઓ અને મુનિઓએ જે કંઇ આપ્યું છે, તે માટે વર્તમાન ન્યાય વ્યવસ્થાએ કૃતજ્ઞ થવું જોઇએ. ન્યાયિક પ્રણાલી શક્તિ સંતુલનનું કામ કરે છે, પ્રાચીન ન્યાય વ્યવસ્થામાં રાજકારણ અને ન્યાય વચ્ચે ખાસ સંબંધ રહ્યો છે. જ્યારે પણ લોકતંત્ર પર સંકટ આવ્યું છે, તો અલાહાબાદ હાઇ કોર્ટે એવા નિર્ણય લીધા છે, જે સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે.
અહીં વાંચો
સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન 2017: PM મોદીના ભાષણના મુખ્ય મુદ્દાઓ