વિશ્વના ઇતિહાસમાં શિવાજી અનન્ય: નરેન્દ્ર મોદી
મુંબઇમાં અનેક મોટી યોજનાઓનો ભૂમિપૂજન/જળપૂજન કર્યા બાદ વાડપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, છત્રપતિ શિવાજી મહારાજને સીમિત ન કરી શકાય, તે આપણા સૌ માટે પ્રેરણારૂપ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મુંબઇમાં કરોડો રૂપિયાની યોજનાઓનું ભૂમિપૂજન/જળપૂજન કર્યું છે. આ પછી મોદીએ મુંબઇમાં જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, શિવાજી મેમોરિયલનું ઉદઘાટન કરી હું ખૂબ ગર્વ અનુભવું છું, વિશ્વના ઇતિહાસમાં શિવાજી અનન્ય છે. શિવાજી જેવો બીજો કોઇ વીર યોદ્ધો થયો નથી. છત્રપતિ શિવાજીનું વ્યક્તિત્વ બહુપરિમાણીય હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જેમ ભગવાન રામ, શ્રી કૃષ્ણ અને માહાત્મા ગાંધીના જીવનના અનેક પાસા હતા, અનેક ડાયમેન્શન હતા, એ રીતે જે શિવાજીના જીવનના પણ અનેક પાસાઓ છે. તેમણે કહ્યું કે, આપણા દેશમાં દુનિયાને આકર્ષિત કરવાની ક્ષમતા છે. આપણી ઓળખ માત્ર તાજમહેલ નથી, એનાથી પણ વિશેષ ઘણું છે આપણા દેશ પાસે. છત્રપતિ શિવાજીના કિલ્લાઓથી શરૂ કરી આપણે આ કિલ્લાઓના ટૂરિઝમને પ્રોત્સાહન આપવું જોઇએ. શિવાજીએ બનાવેલા કિલ્લાઓ આપણે દુનિયાને બતાવવા જોઇએ.
70 વર્ષોમાં જે કોઇએ ના કર્યું, તે અમારી સરકારે કરી બતાવ્યું
આ સાથે જ વિકાસ અંગે વાત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આઝાદી પછીના રાજકારણને જોતાં ખ્યાલ આવે છે કે, પાછલા 70 વર્ષોમાં જો આપણે વિકાસનો માર્ગ અપનાવ્યો હોત તો આજે દેશ સામે જે મુસીબતો છે, એ ના હોત. તેમણે વિકાસ પર પર જોર આપતાં કીધું કે, દરેક સમસ્યાનું સમાધાન છે. વિકાસ થકી જ આપણે આગળ વધી શકીએ છીએ. અમારી સરકાર વિકાસને કેન્દ્રમાં રાખીને કામ કરી રહી છે. અમારી યોજનાઓ પાછળનો હેતુ ગરીબોનું કલ્યાણ કરવાનો છે.
નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અમારી સરકારે ન્યૂનતમ પેન્શન વધારીને 1000 રૂપિયા કર્યું છે, જે પહેલા ઘણું ઓછું હતું, આનાથી 35 લાખ લોકોને ફાયદો થયો છે. અમે ગરીબોને સસ્તી દવાઓ આપી છે. અમે ઘરે-ઘરમાં એલપીજી પહોંચાડ્યું છે. ચૂલા પર રસોઇ કરતાં એક માંના ફેફસામાં 400 સિરગેટનો ધૂમાડો જાય છે. અમે માંને એમાંથી બચાવી છે. પહેલાની સરકારે 70 વર્ષોમાં ગામડાઓમાં વીજળી નથી પહોંચાડી, પરંતુ અમે અઢી વર્ષમાં હજારો ગામોને વીજળી પહોંચાડી છે.
કાળા ધનવાનોએ બેંકવાળાને ફસાવ્યા
પીએમ મોદીએ કહ્યું કે, જે લોકો કહે છે કે દેશમાં પરિવર્તન નહીં આવી શકે, એ લોકો ખોટું બોલે છે. દેશમાં પરિવર્તન આવી શકે છે, આવી રહ્યું છે અને આવીને જ રહેશે. નોટબંધીને લઇને લોકોએ ખૂબ અફવાઓ ફેલાવી, પરંતુ હાલની ચૂંટણીમાં મળેલી જીત એ સાબિત કરે છે કે દેશ કોની સાથે છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઇ સરળ નથી, 70 વર્ષથી મલાઇ ખાતા લોકોએ આ લડાઇ રોકવાની કોશિશ કરી છે, પરંતુ દેશવાસીઓએ એમને પોતાની સામે ટકવા નથી દીધા.
તેમણે આગળ કહ્યું કે, નોટબંધીના નિર્ણય વખતે મેં 50 દિવસનો સમય માંગ્યો હતો. 50 દિવસ પછી મુશ્કેલીઓ ઓછી થઇ જશે. જરૂર પડી તો 50 દિવસ પછી પણ દેશ મુશ્કેલી વેઠવા તૈયાર છે, એવો મારો વિશ્વાસ છે. 50 દિવસ પછી અપ્રમાણિક લોકોના ખરાબ દિવસો શરૂ થશે. દેશે મારી પર વિશ્વાસ કર્યો છે અને હું દેશવાસીઓને વિશ્વાસ અપાવું છું કે, જ્યાં સુધી ભ્રષ્ટાચાર વિરુદ્ધની આ લડાઇમાં જીત નહીં મળે ત્યાં સુધી આ લડાઇ અટકશે નહીં. આ સાથે જ તેમણે મહારાષ્ટ્ર સરકારના વિકાસ કાર્યોના પણ વખાણ કર્યા હતા.