નરેન્દ્ર મોદીના હસ્તે દુનિયાના સૌથી વિશાળ સ્મારકનો શિલાન્યાસ
અરબ સાગરમાં કિનારા નજીક દોઢ કિલોમીટરના અંતરે મારાઠા યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજનું ભવ્ય સ્મારક બનાવવામાં આશે. સ્મારકની કુલ ઉંચાઇ 192 મીટર હશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે મહારાષ્ટ્રની યાત્રાએ છે. મુંબઇમાં અરબ સાગરમાં દુનિયાના સૌથી વિશાળ શિવાજીના સ્મારકનો શિલાન્યાસ આજે નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યો છે. સાથે જ મુંબઇ-પૂણે મેટ્રો રેલ પરિયોજનાનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો.
મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજનું ભવ્ય સ્મારક આરબ સાગરમાં કિનારા નજીક દોઢ કિલોમીટરના અંતરે બનાવવામાં આવશે, જેની કુલ ઉંચાઇ હશે 192 મીટર. આ સ્મારકના નિર્માણમાં કુલ 3600 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ માત્ર ભારત દેશ જ નહીં, પરંતુ આખી દુનિયાનું સૌથી વિશાળ સ્મારક બનશે. માછીમારો અને પર્યાવરણવિદ અરબ સાગર પર સ્મારકના નિર્માણનો વિરોધ કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે આનાથી સમુદ્રી જીવન પ્રભાવિત થશે.
#WATCH PM Narendra Modi onboard a hovercraft performs Jal Pujan for Chhatrapati Shivaji memorial in Mumbai pic.twitter.com/debHkcLRgE
— ANI (@ANI_news) December 24, 2016
નોટબંધીથી અત્યારે કષ્ટ, ભવિષ્યમાં ફાયદો
મુંબઇમાં શિવાજી સ્મારકના શિલાન્યાસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાયગઢ જિલ્લાના ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યોરિટી માર્કેટના નવા કેમ્પસના ઉદઘાટનમાં પહોંચ્યા હતા. અહીં હાજર લોકોને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે, "દુનિયાભરની અર્થવ્યવસ્થાઓ જ્યારે સુસ્ત પડી ગઇ છે ત્યારે ભારતીય અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છે. હું દેશહિત માટે કડક નિર્ણય લેતાં ખચકાઇશ નહીં. નોટબંધીથી અત્યારે કષ્ટ પડી રહ્યું છે, પરંતુ આ નિર્ણયને કારણે ભવિષ્યમાં ખૂબ ફાયદો થશે. આપણો હેતુ સ્કિલ ઇન્ડિયા બનાવવાનો હોવો જોઇએ, જેથી ભારતીય યુવકો દુનિયાના કોઇ પણ ખુણે અન્યોને હરીફાઇ આપી શકે. અમારી સરકાર સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે હંમેશા તત્પર રહે છે."
શિવાજી સ્મારક મુદ્દે કોંગ્રેસનો વિરોધ
કોંગ્રેસ પણ ભાજપની આ શિવાજી સ્મારકની યોજનાની વિરુદ્ધ છે. કોંગ્રેસનું કહેવું છે કે ભાજપ તેમની યોજનાને પોતાની ગણાવી આ કામ શરૂ કરી રહ્યું છે. વર્ષ 2008માં સૌથી પહેલા કોંગ્રેસ નેતૃત્વવાળી રાજ્ય સરકારે મરાઠા રાજા શિવાજીની 192 મીટર ઉંચી મૂર્તિ સમુદ્રમાં મુકવાનો પ્રસ્તાવ મુક્યો હતો.
સ્મારકમાં આ સુવિધાઓ પણ હશે
3600 કરોડ રૂપિયાની ખર્ચે બનનારા આ સ્મારકમાં એક સાથે 10 હજાર લોકો જઇ શકશે. સ્મારક પર એક મિની થિએટર, મંદિર, ફૂડ કોર્ટ, લાઇબ્રેરી, ઓડિયો ગાઇડર, 3ડી અને 4ડી ફિલ્મ, એક્વેરિયમ જેવી સુવિધાઓ પણ હશે. આ યોજનાના પહેલા ચરણમાં 2500 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. સ્મારકને કારણે માછીમારોને થનાર નુકસાન અંગે મહારાષ્ટ્રના લોક નિર્માણ મંત્રી ચંદ્રકાંત પાટિલે કહ્યું કે માછીમારો કે તેમના પરિવારજનોને નોકરીઓ આપવામાં આવશે કે પછી તેમને સ્મારકની આસપાસ હોડી ચલાવવાની છૂટ આપવામાં આવે એવું પણ બને.