વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્લાનિંગ કમિશન મુદ્દે CMની બેઠક બોલાવી, મમતા, ઓમર હાજર નહીં રહે
નવી દિલ્હી, 7 ડિસેમ્બર : આયોજન પંચનું વિસર્જન કરી તેની જગ્યાએ નવી સંસ્થાની રચના કરવાના મુદ્દે મંતવ્યો જાણવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોના મુખ્ય પ્રધાનોની બેઠક આજે દિલ્હી ખાતે બોલાવી છે.
આ મહત્વપૂર્ણ બેઠકમાં કેન્દ્ર સરકાર સાથે ચાલતા ખટરાગના મુદ્દે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી અને જમ્મુ કાશ્મીરના મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લા હાજર રહેવાના નથી.
બર્દવાનમાં બોમ્બ વિસ્ફોટ અને શારદા ચિટ ફંડ કૌભાંડની તપાસ અંગે બેનરજી કેન્દ્રીય શાસક ભારતીય જનતા પાર્ટી પર રોષે ભરાયા છે. તે પોતે આજની બેઠકમાં હાજર નહીં રહે, પણ એમની જગ્યાએ રાજ્યના નાણાં પ્રધાન અમિત મિત્રાને મોકલશે. ઉમર અબ્દુલ્લા રાજ્યમાં હાલ વિધાનસભા ચૂંટણીની ચાલી રહી હોવાથી હાજર રહી શકે તેમ નથી એવું કારણ આપ્યું છે.
આયોજન પંચની રચના ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ કરી હતી. આયોજન પંચની રચના સમયે નહેરુએ એવું વિચાર્યું હતું કે ભારતના ધ્યેય અને લક્ષ્યાંકોને આયોજિત અર્થતંત્ર દ્વારા જ સિદ્ધ કરી શકાશે. આયોજન પંચની રચના કરવાનો આઈડિયા તેમણે તત્કાલિન સોવિયેત સંઘમાંથી મેળવ્યો હતો. આ પછી 1950ની 15 માર્ચે આયોજન પંચની રચના કરવામાં આવી હતી અને તે સાથે જ વર્ષ 1951થી પંચવર્ષીય યોજનાઓ પણ અમલમાં આવી હતી.
મોદી આયોજન પંચની જગ્યાએ જે નવી સંસ્થાની રચના કરવા માગે છે તેનું નામ 'કર્મ' (KARMA ,એટલે કે Knowledge And Reforms Management Agency) હશે. નવી સંસ્થા અનેક દેશોએ અર્થતંત્રના આયોજન માટે હાથ ધરેલી શ્રેષ્ઠ પદ્ધતિ પસંદ કરશે.
નવી એજન્સીમાં આર્થિક નિષ્ણાતોની એક નાની ટીમ હશે. તેની કામગીરી પર વડા પ્રધાનની દેખરેખ રહેશે. નવી સંસ્થા સરકારની આર્થિક સલાહકાર જેવું કામ કરશે અને કેન્દ્ર તથા રાજ્યો, બંનેને કન્સલ્ટન્સી સેવાઓ પૂરી પાડશે.
તૃણમુલ કોંગ્રેસ પાર્ટીનાં વડા મમતા બેનરજીએ કહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકાર જો દેશની જનતાના લાભ માટે રચનાત્મક કાર્ય કરશે તો અમે તેને અમારો સંપૂર્ણ ટેકો આપીશું.