47 વર્ષના થયા રાહુલ ગાંધી, પીએમ મોદીએ પાઠવી શુભકામના
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના 47મા જન્મદિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવી શુભકામનાઓ.
કોંગ્રેસ ઉપાધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના અમેઠીના સાંસદ રાહુલ ગાંધી 19 જૂન, 2017ના રોજ 47 વર્ષના થયા છે. આજે પોતાની વર્ષગાંઠને દિવસે તેઓ દેશમાં નથી, પરંતુ લોકો તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યાં છે. રાજકારણ ક્ષેત્રે બે પક્ષો અને તેના નેતાઓ વચ્ચે ગરમાગરમી સામાન્ય વાત છે, એ ભૂલાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીને સૌ પ્રથમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે. ટ્વીટર પર નરેન્દ્ર મોદીએ લખ્યું છે, 'કોંગ્રેસ ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીને જન્મદિવસની શુભકામનાઓ. હું તેમની લાંબી અને સ્વસ્થ આયુની પ્રાર્થના કરું છું.'
રાહુલ ગાંધી અને પીએમ મોદી
રાહુલ ગાંધી હાલ ઇટલીમાં પોતાના નાની ઘરે છે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી અને રાહુલ ગાંધી હંમેશા એકમેકના નિશાના પર હોય છે. સાંસદ હોય કે સભા સંબોધન, બંન્ને એકબીજા પર નિશાન સાધવાની કોઇ તક ચૂકતા નથી. રાહુલ ગાંધીએ ભાજપની આગેવાનીવાળી સરકારને 'સૂટ બૂટવાળી સરકાર'નું ઉપનામ આપ્યું હતું. રાહુલ ગાંધી ઘણીવાર વડાપ્રધાન પર મોટા વેપારીઓની મદદ કરવાનો આરોપ મૂકે છે. રાહુલનું કહેવું છે કે, પીએમ ગરીબોની ઉપેક્ષા કરે છે.
ભણતર
ઘણા ઓછાને ખબર હશે કે, સુરક્ષાના કારણોસર રાહુલ ગાંધીને સતત શાળાઓ બદલવી પડતી હતી. તેઓ જ્યારે વિદેશમાં અભ્યાસ કરી રહ્યાં હતા ત્યારે પણ યુનિવર્સિટીના કેટલાક સિલેક્ટેડ અધ્યાપકો અને સુરક્ષા એજન્સિઓ સિવાય કોઇને તેમની સાચી ઓળખાણ આપવામાં નહોતી આવી. વર્ષ 2007માં રાહુલ ગાંધી કોંગ્રેસ પક્ષના જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાયા હતા અને વર્ષ 2013માં કોંગ્રેસના ઉપાધ્યક્ષ તરીકે તેમની નિમણુક કરવામાં આવી.
સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં #HappyBirthdayRG
રાહુલ ગાંધીના જન્મદિવસે ટ્વીટર પર #HappyBirthdayRG ટેગ ટ્રેન્ડ કરી રહ્યું છે. ભાજપના નેતા તેજિંદર બગ્ગાએ લખ્યું છે, 'રાહુલ ગાંધીને ખૂબ ખૂબ શુભકામનાઓ. આશા રાખીએ કે, તમે જલ્દી જ કોંગ્રેસ અધ્યક્ષ બનશો.' પંજાબના કોંગ્રેસ નેતાએ લખ્યું છે, 'એક નેતા જેનામાં નૈતિકતા છે, જેમનું હું સન્માન કરું છું, પ્રશંસા કરું છું, તેમને જન્મદિવસની શુભકામનાઓ.'
સંજય નિરુપમે લખ્યું...
કોંગ્રેસ નેતા સંજય નિરુપમે લખ્યું કે, 'આપણા યુવા નેતા અને કોંગ્રેસ ઉપાધ્યક્ષને જન્મદિવસની શુભકામનાઓ.' પદ્મરાણીએ લખ્યું છે, 'તમે ભારતના વારસાને આગળ વધારી શકો છો. ભગવાન શક્તિ અને દ્રઢ સંકલ્પ સાથે તમને આશીર્વાદ આપે.'