દલિત પ્રેમ vs 2017ની ચૂંટણીમાં જીત કોની?, ઉલ્લૂ બનવા તૈયાર થઇ જાવ!
ઉનામાં દલિતોની છૂટે હાથે જે પીટાઇ કરવામાં આવી આ નિંદનીય કિસ્સા છે જેને વખોડવો જોઇએ કારણે કે જ્યારે જ્યારે લોકો તેમ માની લે છે કે તે કાયદો હાથમાં લઇ શકે છે ત્યારે ક્યારે ને ક્યારેક દબાયેલો વર્ગ તેનો આક્રોશ નીકાળશે જ. અને ગુજરાતમાં હાલ જે થઇ રહ્યું છે તે આ વાતની સાબિતી છે. પણ વાત અહીં દલિતોની નથી થઇ રહી...વાત એમ છે કે દલિતોના કહેવાતા શુભેચ્છકો ખરેખરમાં હાલ ગુજરાતમાં 2017ની ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે. આ આખા મુદ્દે રાજકારણ રમી રહ્યા છે. અને આ વાતની સાબિતી છે વનઇન્ડિયામાં મૂકવામાં આવેલ આ પોલની ડિટેલ. જેમાં લોકો પણ તે જ મત વ્યક્ત કર્યો છે કે અહીં રાજકારણીઓ તેમનો રાજકીય રોટલો શેકી રહ્યા છે.
છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ભારતભરના નેતાઓ ઉમટી રહ્યા છે. અને અન્ય પાંચ-છ દિવસ સુધી માયાવતી, શરદ યાદવ એમ તમામ રાજનેતાની મુલાકાત ચાલુ રહેવાની છે. ત્યારે વાત એમ છે કે શું આ રાજકીય પક્ષોના મનમાં ખરેખરમાં દલિત પ્રેમ છે? કે પછી 2017ની ચૂંટણી તેમનો મેન ટાર્ગેટ છે? નોંધનીય છે કે અહીં મારો આ સવાલ કોઇ એક પક્ષને લઇને નથી. આ સવાલ તમામ પક્ષોને લઇને છે. અને તમામ પક્ષોનું મીડિયામાં તો એ જ કહેવું છે કે "અમે અહીં કોઇ રાજકારણ રમવા નથી આવ્યા. આ સંવેદનશીલ મુદ્દા પર સાંત્વના આપવા આવ્યા છીએ" અને બની શકે તે સાચા પણ હોય!
પણ જો દલિત પ્રેમ vs 2017ની ચૂંટણી તરીકે જોઇએ તો આવનારા દિવસોમાં 2017ની ચૂંટણીની જીત થવાની છે. કેવી રીતે વાંચો અહીં....
રાજકારણ
તમામ રાજકારણીઓ ખરાબ નથી હોતા પણ રાજકારણ એક સીધી સાદી સરળ વાત નથી તે વાત દરેક રાજનેતા સ્વીકારશે. અને માટે જ જ્યારે કોઇ ચૂંટણી આવે છે ત્યારે તમામ પક્ષો મુદ્દો શોધવા બેસી જાય છે.
સૌથી વધુ લાભ
તે પહેલા ક્યારેક કંઇક બને છે તો ખાલી 2-3 દિવસ વિરોધ કરીને શાંત થઇ જાય છે પણ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે બધા આ વાતમાં પોતાને સૌથી વધુમાં વધુ લાભ કેવી રીતે મળે તે તાગમાં બેસી જાય છે.
વોટ બેંકની ખેંચ-મ-ખેંચ
અને પછી જ્યારે તેમને કોઇ સળગતો, ભભૂકતો મુદ્દો મળી જાય છે ત્યારે તે તમારા, મારા જેવા લોકોને પોતાની વાતમાં રૂઝાવવા માટે બનતા પ્રયાસ કરે છે. જેથી વધુને વધુ લોકો તેમની તરફ ખેંચાઇ શકે.
પછી શું થાય છે?
પછી આપણે ઉલ્લૂ બનીએ છીએ. ખરેખરમાં આપણને તેવું લાગે છે કે ના આ રાજકીય પક્ષ છે જે ખરેખરમાં આપણો પક્ષ રાખશે. આ પક્ષ આપણો કંઇક ઉદ્ધાર કરશે. અને બસ આ જ આશે આપણે તેને મત આપી દઇએ છે તેમને સત્તા મળી જાય છે. પણ પછી શું?
શું પછી કોઇની પર અત્યાચાર નહીં થાય?
હકીકત એ છે કે સત્તા પર આવ્યા પછી કંઇ ખાસ ફરક નથી પડતો. પહેલા એક પક્ષને દબાવવામાં આવતો હતો પછી બીજા પક્ષને દબાવવામાં આવે છે. ઇનશોર્ટ કોઇને કોઇ દબાતું જ રહે છે. અને છેવટે તે દબાઇ દબાઇને થાકી જાય છે અને ફરી સત્તા પરિવર્તન થાય છે. માનવામાં ના આવતું હોય તો અત્યાર સુધીની સરકારોની સત્તા પલટના કારણો જોઇ લો.
પક્ષવાદ
પહેલા એક પક્ષ દ્વારા લધુમતીને સેફગાર્ડ કરવામાં આવી પછી એક પક્ષ દ્વારા બહુમહીને બચાવવામાં આવી....ત્યારે ભારતના એક મતદાતા તરીકે આપણે આ ખેલ સમજવો ખૂબ જ જરૂરી બની છે. કે અહીં ખાલી પક્ષ બદલાય છે, પીસાય છે તો સમાજનો એક નિર્દોષ માણસ જ!
તો નિરાકરણ શું છે?
ભારતના મતદાતાને આ આખો મુદ્દો સમજવો બહુ જરૂરી છે કે પક્ષવાદના રાજકારણમાંથી બહાર આવે. જ્યારે આપણે કોઇ એક કોમ, જાતિના ટેગ આપવાનું બંધ કરીને અન્યાયને મહત્વ આપવાનું શરૂ કરીશુંને ત્યારે આ પક્ષ, કોમ, જાતિના નામે રાજકારણ રમતા રાજનેતાની દુકાનો આપોઆપ બંધ થઇ જશે. અન્યાય કોઇની પણ સાથે ન થવો જોઇએ, દમન કોઇની પણ સાથે ના થવું જોઇએ, મુદ્દો તે હોવો જોઇએ. ના કે, આ પક્ષ, આ જાતિ, આ કોમ, આ સ્ત્રી, આ પુરુષ, આ ધર્મ. લડત જ્યારે અન્યાય સામે થશેને તો ન્યાયની જ જીત થશે. તે જે દિવસે સમજી લઇશુંને સુખી થઇ જઇશું!