પીએમ મોદી - યૂપીએ એ મનરેગાના નિયમો 1033 વાર બદલ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોડી રાત્રે આવેલા ભૂકંપનો ઉલ્લેખ કરી રાહુલ ગાંધી પર નિશાન સાધતાં કહ્યું કે, આખરે ભૂકંપ આવ્યો કઇ રીતે? ધમકી તો ઘણા દિવસો પહેલા મળી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ મંગળવારે લોકસભા માં વિપક્ષ પર નિશાન સાધ્યું છે. બજેટ સત્રમાં રાષ્ટ્રપતિના અભિભાષણ માટે ધન્યવાદ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોડી રાત્રે થયેલા ભૂકંપનો ઉલ્લેખ કરી રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું હતું, તો આઝાદીની લડાઇમાં યોગદાન અંગે ઉઠેલા સવાલ પર મલ્લિકાર્જુન ખડગે પર પણ વ્યંગ કર્યો હતો. વડાપ્રધાને નોટબંધી થી માંડીને સ્વચ્છ ભારત અભિયાન સુધી વિપક્ષને ઘેરામાં લીધો હતો.
જનશક્તિ જ દેશની તાકાત છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ વ્યંગ પર સંસદમાં હંગામો શરૂ થઇ ગયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોટાળાઓ માટે યૂપીએ સરકારને ઘેરતા કહ્યું કે, જ્યારે કોઇ ગોટાળાઓમાં પણ નમ્રતાનો ભાવ જુએ છે, તો ધરતી માં પણ દુઃખી થઇ જાય છે અને એ જ કારણે ભૂકંપ આવે છે. તેમણે કહ્યું રાષ્ટ્રપતિએ અભિભાષણમાં જનશક્તિનો ઉલ્લેખ કર્યો હતો. જનશક્તિનું ખૂબ મહત્વ છે.
કોંગ્રેસે દેશને કટોકટીની પરિસ્થિતિમાં નાંખ્યો
કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે પર નિશાનો સાધતાં તેમણે કહ્યું કે, 'કોંગ્રેસના લોકતંત્રને આખો દેશ જાણે છે. આખું લોકતંત્ર એક પરિવારને સમર્પિત કરી દેવામાં આવ્યું. વર્ષ 1975માં જ્યારે દેશમાં કટોકટી લાગુ કરવામાં આવી હતી ત્યારે દેશના મોટા મોટા નેતાઓ સહિત લાખો લોકોને જેલમાં બંધ કરી દેવામાં આવ્યા હતા, પરંતુ તેમને જનશક્તિનો અંદાજ નહોતો. આ જનશક્તિની તાકાત છે કે કેન્દ્રમાં એનડીએ ની સરકાર બની અને ગરીબ માંનો દિકરો વડાપ્રધાન બન્યો.
ખડગેના નિવેદન પર પીએમ મોદીનો પ્રહાર
કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર નિશાન સાધતાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોંગ્રેસના નેતા એમ કહેવા માંગે છે કે, આઝાદી માત્ર એક પરિવારે અપાવી છે. તેઓ ન તો શહીદોની વાત કરે છે, ન તો એ તમામ સેનાનીઓની જેમણે પોતાના પ્રાણ ગુમાવ્યા. ખડગેના એક નિવેદન પર તેમણે કહ્યું કે, અમે કુતરાઓવાળી પરંપરામાં મોટા નથી થયાં. ઉલ્લેખનીય છે કે, ખડગેએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, આઝાદી બાદ દેશ માટે ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીએ પોતાનું બલિદાન આપ્યું. પરંતુ તમારે ત્યાં તો એના નામે એક કુતરો પણ નથી મર્યો.
અહીં વાંચો - ભાજપની આદિવાસી વિકાસ ગૌરવ યાત્રાનો આજથી પ્રારંભ
નોટબંધી પર ચર્ચા માટે સરકાર તૈયાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર જનતાના હકને લૂંટવાનો આરોપ લગાડતાં કહ્યું કે, કોઇએ તો જવાબદારી લેવી પડશે કે કંઇ ખોટું થયું છે. સરકાર સંસદમાં નોટબંધી પર ચર્ચા કરવા માટે તૈયાર છે, પરંતુ વિપક્ષ ટીવી પર બાઇટ આપવામાં જ વ્યસ્ત છે. નોટબંધી માટે આ યોગ્ય સમય હતો અને તેનાથી અર્થવ્યવસ્થા મજબૂત થઇ છે. તેમણે આગળ કહ્યું કે, વિપક્ષે સ્વચ્છતા અભિયાનનો પણ વિરોધ કર્યો. પરંતુ એવા કયા લોકો છે, જેમના પોતાના ઘર અને મહોલ્લામાં સફાઇ નથી જોઇતી. અમને ચૂંટણીની ચિંતા નથી, જનતાની ચિંતા છે.
કાળા નાણાં પર સરકારે લીધેલા પગલાંની જાણકારી
કાળા નાણાં પર રોક લગાવવા અંગે વડાપ્રધાને સરકારની પહલ અંગે જાણકારી આપતાં કહ્યું કે, ઘણા દેશોએ ભારત સાથે કરારો કર્યા છે, જેનાથી હવે વિદેશોમાં જમા થનારા પૈસાની જાણકારી મળશે. જે પણ ભારતીયો ત્યાં પૈસા જમા કરાવશે, તેની જાણકારી ત્યાંની સરકાર દ્વારા આપણને મળી રહેશે.
અમારી પર આરોપ લગાવનારા પહેલા પોતાને જુએ
વડાપ્રધાને કહ્યું કે, વિપક્ષના લોકો અમારી પર આરોપ લગાવે છે, નોટબંધી દરમિયાન 130 વાર નિયમો બદલાવનો આરોપ અમારી પર લાગવવામાં આવ્યો છે, પરંતુ એ કોઇએ ના કીધું કે જનતા જેનાથી હેરાન થતી હતી, એવા લગભગ 1100 કાયદોઓ અમે ખતમ કર્યાં છે. મનરેગા જેવી યોજનાના નિયમોમાં યૂપીએ સરકારના કાર્યકાળમાં 1033 વાર પરિવર્તન કરવામાં આવ્યા છે.
જનતાનું વલણ જોઇ બદલવું પડ્યું નિવેદન
વડાપ્રધાને કહ્યું કે, સર્જિકલ સ્ટ્રાઇક એક ખૂબ ગંભીર અને મોટો નિર્ણય હતો, પરંતુ કોઇ એની પર એટલા સવાલો નથી ઉઠાવી રહ્યું, જેટલા નોટબંધી પર કરવામાં આવી રહ્યાં છે. તેમણે કહ્યું, પોતાના હૃદય પર હાથ મુકીને પૂછો સર્જિકલ સ્ટ્રાઇકના 24 કલાક પહેલાં રાજ નેતાઓએ કેવા કેવા નિવેદનો આપ્યા હતા. પરંતુ દેશની જનતાનું વલણ જોઇને તેમણે પોતાની ભાષા બદલવી પડી. તેમણે ખેડૂતોના હિતોની વાત કરતાં કહ્યું કે, આગલી સરકારોએ પાક વીમા યોજના અંગે કોઇ ઠોસ પગલા કેમ ન લીધાં? ખેડૂતોને યૂરિયા માટે કેમ ભટકવું પડ્યું હતું? અમારી સરકારે યૂરિયાના કાળા બજાર પર રોક લગાવી છે. આથી યૂરિયા હવે માત્ર ખેતી માટે વપરાય છે. પ્રધાનમંત્રી આાસ યોજના હેઠળ 22 લાખ 27 હજાર આવાસ બનાવવામાં આવ્યા છે. જ્યારે પહેલાં યોજનાઓ માત્ર નામની જ હતી.