જેએનયુ: વીસી, રજિસ્ટ્રાર સહિત ઘણા અધિકારીઓને બનાવ્યા બંધક, રાજનાથસિંહે કમિશ્નર સાથે કરી વાત
જેએનયુ એટલે કે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી કન્હૈયા મામલા બાદ સતત સમાચારોમાં ઘેરાયેલી છે. આ વખતે જેએનયુના કેટલાક વિદ્યાર્થીઓ પર વીસી અને રજિસ્ટ્રારને બંધક બનાવવાનો આરોપ છે. શું છે વિગતો જાણો અહીં.....
જેએનયુ એટલે કે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી કન્હૈયા મામલા બાદ સતત સમાચારોમાં ઘેરાયેલી છે. આ વખતે જેએનયુના કેટલાક વિદ્યાર્થીઓ પર વીસી અને રજિસ્ટ્રારને બંધક બનાવવાનો આરોપ છે.
જેએનયુમાં છેલ્લા ઘણા દિવસોથી યુનિવર્સિટી કેમ્પસમાંથી ગુમ થયેલ વિદ્યાર્થી નઝીબ અહમદના હજુ સુધી કોઇ સમાચાર મળી શક્યા નથી. આને કારણે વિશ્વવિદ્યાલયમાં તણાવનો માહોલ છે. બુધવારે સાંજે અમુક નારાજ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના વાઇસ ચાંસેલર અને અમુક અન્ય અધિકારીઓને બંધક બનાવી લીધા છે.
રાજનાથસિંહે કમિશ્નર સાથે કરી વાત
જેએનયુ વિદ્યાર્થી સંગઠનના સભ્યોએ યુનિવર્સિટીના એડમિન બ્લૉકનો ઘેરાવ કર્યો અને આ લોકોને બંધક બનાવી લીધા છે. આ સમગ્ર મામલા અંગે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે દિલ્હી પોલિસ સાથે વાત કરી છે અને સમગ્ર મામલાની જાણકારી મેળવી.
ડાયાબિટીઝ ગ્રસ્ત મહિલાને પણ બનાવી બંધક
એવા સમાચાર છે કે બંધક બનાવવામાં આવેલ અધિકારીઓમાંથી એક મહિલા ડાયાબિટીઝથી પીડિત છે. જેએનયુના વીસી પ્રોફેસર એમ જગદીશની માનીએ તો વિદ્યાર્થીઓએ તેમને અને અમુક અન્ય અધિકારીઓને અયોગ્ય રીતે કેદ કરી લીધા છે. વિજળી ન હોવાને કારણે તેમને ગુંગળામણ પણ થઇ રહી છે.
કોઇની સાથે થયો હતો ઝઘડો
જેએનયુ કેમ્પસના સ્કૂલ ઑફ બાયોટેકનોલોજીમાં એમએસસી ફર્સ્ટ યરનો વિદ્યાર્થી નઝીબ અહમદ શનિવારથી ગાયબ છે. એવા સમાચાર પણ છે કે તેની એક રાત પહેલા કેમ્પસમાં તેનો કોઇ સાથે ઝઘડો થયો હતો. નઝીબના માતા-પિતાએ વસંતકુંજ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી.
એબીવીપી પર ગાયબ કરવાનો આરોપ
જો કે, જેએનયુ વિદ્યાર્થી સંગઠને વીસી કે કોઇ અન્ય અધિકારીઓને બંધક બનાવવાના આરોપોનું ખંડન કર્યુ છે. નઝીબ અહમદ 5 દિવસ પહેલા ગાયબ થયા બાદ જેએનયુમાં વિરોધ-પ્રદર્શન થઇ રહ્યા છે. વિદ્યાર્થી સંગઠનનો આરોપ છે કે નઝીબના ગાયબ થવા પાછળ એબીવીપીનો હાથ છે. જ્યારે એબીવીપી આના માટે જૂના વિદ્યાર્થી સંગઠનને જવાબદાર ઠેરવી રહ્યુ છે.