રાહુલ ગાંધીએ પીએમ મોદીની ઉડાડી ઠેકડી
રાહુલ ગાંધીએ દિલ્હીમાં જનવેદના સંમેલનમાં સંબોધન કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ખૂબ વાણી પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન તેમના વાયદાઓ પૂરા કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યાં છે.
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ દિલ્હીના જનવેદના સંમેલનના પોતાના સંબોધનમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન એક મુદ્દા પછી તરત બીજા મુદ્દા પર કૂદે છે અને પછી તેમને પોતાને જ સમજાતું નથી કે હવે શું કરવું. રાહુલે નોટબંધી, સર્જિકલ સ્ટ્રાઇક જેવા ઘણા મુદ્દાઓનો આધાર લઇ નરેન્દ્ર મોદીની આખરી ટીકા કરી છે. રાહુલે એમ પણ કહ્યું કે, આજકાલ મીડિયા મન ખોલીને બોલતું નથી.
મીડિયાને લાગે છે ડર
"જ્યારે મનમોહન સિંહ અને ચિદંબરમ નાણા મંત્રી હતા ત્યારે મીડિયા ખુલીને બોલતું હતું, પરંતુ આજકાલ મીડિયા મન ખોલીને બોલતું નથી. મીડિયાવાળા મારી પાસે આવીને કહે છે કે, 'ભાઇ અમને ડર લાગે છે, નોકરી જતી રહેશે, ફોન આવી જશે કોઇનો, તમે અમારી વાત સમજો.' અમે તમારી વાત સમજીએ છીએ, તમને કષ્ટ નથી આપવા માંગતા, પરંતુ તમારી પણ કંઇક જવાબદારી છે. જ્યાં ગામડાઓમાં લોકોને કષ્ટ વેઠવું પડે છે, તે મીડિયા લોકોની સામે લાવે."
નોટબંધીના કારણે અર્થવ્યવસ્થાના પાયા તુટ્યા
"ઑટોમોબાઇલ સેક્ટરમાં ગાડીઓનું વેચાણ 60 ટકા ઓછું થયું છે, છેલ્લા 16 વર્ષોમાં ગાડીઓના વેચાણમાં ખૂબ ઘટાડો થયો છે. ભારતના અર્થશાસ્ત્રીઓને છોડો, દુનિયાને જેણે નોટબંધીનો કોનસેપ્ટ આપ્યો એણે કહ્યું છે કે, નરેન્દ્ર મોદી આ કોનસેપ્ટને સમજ્યા જ નથી. નોટબંધી તો માત્ર એક બહાનું છે, નરેન્દ્ર મોદીને જ્યારે ખબર પડી કે તેઓ યોગા પાછળ, મેક ઇન ઇન્ડિયા પાછળ કે સ્કિલ ઇન્ડિયા પાછળ છુપાઇ નહીં શકે ત્યારે તેમને ઘભરાટ થયો. આથી તેમણે પોતાના હોમ મેડ ઇકોનોમિસ્ટ બાબા રામદેવ પાછળ છુપાવાની કોશિશ કરી અને દેશની અર્થવ્યવસ્થાના પાયા જ તોડી નાંખ્યા."
પદ્માસન ન કરી શક્યા પીએમ
"સફાઇ બાદ મેક ઇન ઇન્ડિયા, કનેક્ટ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયા કર્યા બાદ ઇન્ડિયા ગેટ પર થોડું યોગા કર્યું. પરંતુ ભાજપ, આરએસએસ અને કોંગ્રેસ વચ્ચે એક ફરક છે, જે દેખાઇ આવે છે. આ ફરક છુપાવી શકાય એમ નથી. સફાઇ અભિયાન દરમિયાન ભાજપના દરેક નેતાએ ઝાડુ ખોટી રીતે પકડ્યું હતું, યોગા કર્યું તો ખૂબ સરસ રીતે પરંતુ પદ્માસન ન વાળી શક્યા."
2019માં આવશે સારા દિવસો(અચ્છે દિન)
"અઢી વર્ષ પહેલાં નરેન્દ્ર મોદી સરકારમાં આવ્યા ત્યારે કહ્યું હતું કે, સફાઇ કરીશ, સૌને ઝાડુ પકડાવી દીધું, ચાર દિવસ ફેશન ચાલી અને ભૂલી ગયા. વડાપ્રધાન કહે છે કે, સારા દિવસો(અચ્છે દિન) આવશે, પણ ક્યારે? સારા દિવસો 2019માં આશે, જ્યારે કોંગ્રેસ ભારતમાં સરકાર બનાવશે. પીએમ એક મુદ્દા પરથી બીજા મુદ્દા પર કૂદે છે, ક્યારેક સર્જિકલ સ્ટ્રાઇક તો ક્યારેક નોટબંધી. છેલ્લા સાત વર્ષોમાં એટલી બેરોજગારી ક્યારેય નહોતી, જેટલી આજે છે. વડાપ્રધાને વિચારવું જોઇએ, ગાડીનું વેચાણ 60 ટકા ઘટ્યું છે. શા માટે લોકો ગામડાઓ તરફ ભાગી રહ્યાં છે, અચાનક જ મનરેગામાં ઉછાળો આવ્યો છે, આ જ મનરેગાની પીએમ મોદી આલોચના કરતા હતા."