પ્રોટોકૉલની ચિંતા કર્યા વગર BSF જવાનને ભેટી પડ્યા રાજનાથ સિંહ
કેન્દ્રિય ગૃહ મંત્રી રાજનાથ સિંહ પ્રોટોકૉલની ચિંતા કર્યા વગર વીર બીએસએફ જવાનને ભેટી પડ્યા હતા.
કેન્દ્રિય ગૃહ મંત્રી રાજનાથ સિંહે ગુરૂવારે બીએસએફના પ્રતિષ્ઠાપન સમારંભમાં હાજરી આપી હતી. આ સમારંભમાં વર્ષ 2014માં જમ્મુ-કાશ્મીરમાં થેયલ આતંકવાદી હુમલામાં વીરતાથી કામ લેનાર બીસએસએફ જવાનનું સન્માન કરવામાં આવ્યું હતું. જવાન ગોધરાજ મીણાને તેમની વીરતા બદલ રાજનાથ સિંહના હસ્તે મેડલ આપવામાં આવ્યું હતું. જવાનને મેડલ આપ્યા બાદ રાજનાથ સિંહ પ્રોટોકૉલની ચિંતા કર્યા વગર જવાનને ભેટી પડ્યા હતા.
ગોધરાજ મીણાની સાહસકથા
વર્ષ 2014માં જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં આતંકવાદી હુમલો થયો હતો, જેમાં જવાન ગોધરાજ મીણાને અનેક ગોળીઓ વાગી હતી. આ સમારંભમાં મીણાને મેડલથી સન્માનિત કરતાં પહેલાં તેમની બહાદુરીના કિસ્સા અંગે વાત કરતાં રાજનાથ સિંહે કહ્યું કે, '5 ઓગસ્ટ, 2014ના રોજ ઉધમપુર સ્થિત નરસૂ નાળા પાસે બીએસએફના જવાનોની બસ પર આતંકીઓએ હુમલો કર્યો હતો. બસની સુરક્ષાની જવાબદારી 44 વર્ષીય મીણા પર હતી, તેમણે ભરપૂર સાહસ સાથે પોતાની સૂઝનો ઉપયોગ કરી તેમના પર વરસતી ગોળીઓ વચ્ચે 2 આતંકીઓને ઠાર મારી તેમને બસમાં ચડવાથી રોક્યા હતા.'
'એ દિવસે મીણાને કારણે જ બસમાં બેઠેલ 30 જવાનો બચી ગયા હતા. આતંકવાદીઓને રોકવાના પ્રયત્નમાં મીણાને જડબામાં અને શરીરના અન્ય ભાગે ગોળી વાગી હતી, જેને કારણે તેમનું 85 ટકા શરીર કામ નથી કરતું. તેઓ હવે બોલી પણ નથી શકતા.'
ગોધરાજ મીણાની સાહસકથા સાંભળી વિજ્ઞાન ભવન તાળીઓના અવાજથી ગુંજી ઉઠ્યું હતું. પોતાને મળેલ સન્માન બદલ મીણએ સલામી આપવાનો પ્રયાસ કરતાં રાજનાથ સિંહ પ્રભાવિત થઇ પ્રોટોકૉલની ચિંતા કર્યા વગર તેમને ભેટી પડ્યા હતા. સમારંભમાં હાજર એક વરિષ્ઠ અધિકારીએ આ ક્ષણને અણમોલ ગણાવતાં કહ્યું કે, 'મીણા હાલી-ચાલી નથી શકતાં, બોલી નથી શકતાં, આમ છતાં આ સમારંભમાં તેઓ પોતાના યુનિફોર્મમાં પહોંચ્યા હતા.'