વાલ્મિકીને કહ્યા આતંકી, રાખી સાવંત વિરુદ્ધ અરેસ્ટ વોરંટ
રાખી સાવંતે રામાયણ રચનાર મહર્ષિ વાલ્મીકિને આતંકવાદીનું નામ આપતાં તેમને હત્યારા કહ્યાં હતા.
બોલિવૂડ માં વિવાદો માટે પ્રખ્યાત રાખી સાવંત ફરી એકવાર ખોટા કારણોસર ચર્ચામાં છે. આ વખતે મામલો ગંભીર છે, તેની વિરુદ્ધ અરેસ્ટ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. રાખી સાવંતે રામાયણ ના રચયિતા મહર્ષિ વાલ્મીકિને આતંકવાદી કહ્યા હતા. આ કારણે લુધિયાણા ની કોર્ટે આપત્તિજનક ટિપ્પણી કરવા બદલ તેની વિરુદ્ધ અરેસ્ટ વોરંટ જાહેર કર્યું છે. પ્રાપ્ત જાણકારી અનુસાર લુધિયાણા પોલીસ બે કર્મચારીઓ સાથે અરેસ્ટ વોરંટ લઇ મુંબઇ જવા રવાના થઇ ગઇ છે.
ટીવી કાર્યક્રમમાં કરી હતી ટિપ્પણી
પોલીસ અનુસાર રાખી સાવંત વિરુદ્ધ ફરિયાદ કરનાર વાલ્મિકી સંપ્રદાયે આરોપ મુક્યો છે કે, આ અભિનેત્રીએ ગત વર્ષે એક પ્રાઇવેટ ટીવી ચેનલ પર કાર્યક્રમ દરમિયાન મહર્ષિ વાલ્મિકી લિરુદ્ધ ટિપ્પણી કરી હતી, તેણે વાલ્મિકી સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડી હતી. રાખીએ રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મિકીને આતંકવાદીનું નામ આપતા તેમને હત્યારા પણ કહ્યા હતા. જ્યાર બાદ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
અહીં વાંચો - શ્રી કૃષ્ણ અંગે કરી ચર્ચાસ્પદ ટિપ્પણી, બે પોલીસ ફરિયાદ દાખલ
સુનવણીમાં રહી ગેરહાજર
આ મામલે રાખીને અનેક વાર કોર્ટ તરફથી સમન મોકલવામાં આવ્યું છે. 9 માર્ચના રોજ થયેલી આ મામલાની સુનવણીમાં રાખી હાજર નહોતી થઇ. આથી હવે તેની વિરુદ્ધ અરેસ્ટ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે.
હવેની સુનવણી 10 એપ્રિલના રોજ
આ મામલે હવે 10 એપ્રિલના રોજ સુનવણી કરવામાં આવશે, હાલ રાખી કે તેના પરિવાર તરફથી આ મામલે કોઇ પ્રતિક્રિયા આપવામાં નથી આવી.