RBI ગવર્નર ઉર્જિત પટેલે કહ્યું, પરિસ્થિતિ જલ્દી જ સામાન્ય થશે
આબીઆઇ ગવર્નર ઉર્જિત પટેલે સંસદની લોક લેખા સમિતિને કહ્યું કે, નોટબંધી બાદ પરિસ્થિતિ જલ્દી જ સામાન્ય થઇ જશે.
ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર ઉર્જિત પટેલે સંસદની લોક લેખા સમિતિને જણાવ્યું છે કે, નોટબંધી બાદ હવે પરિસ્થિતિ જલ્દી જ સામાન્ય થઇ જશે. તેમણે પીએસીને જણાવ્યું કે, નોટબંધીના નિર્ણય બાદ રોકડની જે સમસ્યા સર્જાઇ છે, તે જલ્દી જ પુરી થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉર્જિત પટેલે પીએસીને જણાવ્યું કે, આવકવેરા વિભાગ અને આર્થિક ગુપ્ત બ્યૂરો આ બાબતે કાર્યવાહી કરી રહ્યાં છે કે બેન્ક ખાતાઓમાં વધુ પૈસા કઇ રીતે જમા કરવામાં આવ્યા.
ઉર્જિત પટેલે જણાવ્યું કે, અત્યારે અમે ગ્રામીણ વિસ્તારોમાં શરૂ થયેલી સમસ્યાઓમાં અમારું ધ્યાન પરોવાયેલું છે. સાથે જ તેમણે શહેરી વિસ્તારોમાં સ્થિતિ સામાન્ય બનાવવા માટે શું પગલા લેવામાં આવ્યા છે એ અંગે પણ જાણકારી આપી. તેમણે કહ્યું કે, ટ્રાન્ઝેક્શન કોસ્ટ ઘટાડવા માટે પગલા લેવાઇ રહ્યાં છે. જીડીપી પર થોડા સમય માટે નોટબંધીની અસર જોવા મળશે, પરંતુ લાંબા ગાળે આ નિર્ણય ફાયદાકારક સાબિત થશે.
બુધવારે સંસદની સ્થાયી આર્થિક સમિતિ પેનલ સામે ઉર્જિત પટેલ એ નોહતા જણાવી શક્યા કે બેન્કોમાં કેટલા પૈસા જમા થયા છે અને નોટબંધી બાદ હવે ક્યારે પરિસ્થિતિ સામાન્ય થશે. પરંતુ તેમણે જણાવ્યું હતું કે, 9 લાખ કરોડ રૂપિયાની નવી ચલણી નોટો બજારમાં મુકવામાં આવી છે. આરબીઆઇ ના ગવર્નર ઉર્જિત પટેલને અસહજ થતાં જોઇ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે તેમને સલાહ આપી હતી કે, તેમણે બધા પ્રશ્નોના જવાબ આપવાની જરૂર નથી. સાથે જ તેમણે સમિતિના સભ્યોને પણ કહ્યું હતું કે, તેઓ આરબીઆઇ ની શાખનું પણ ધ્યાન રાખે.