RBI એ મોદીની વાત માનવાનો કર્યો ઇનકાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બરે કહ્યું હતું કે, જે લોકો 30 ડિસેમ્બર સુધીમાં જૂની ચલણી નોટો ન બદલી શકે, તે લોકો 31 માર્ચ 2017 સુધીમાં ભારતીય રિઝર્વ બેંકમાં જઇ પૈસા જમા કરાવી શકે છે.
જે લોકોએ હજુ સુધી 500 અને 1000ની જૂની નોટો બદલાવી નથી, તેમને માટે હવે નવી મુસીબત ઊભી થઇ છે. નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી ઘોષણા અનુસાર 30 ડિસેમ્બર બાદ જૂની ચલણી નોટો ભારતીય રિઝર્વ બેંકમાં જમા કરાવવાની જોગવાઇ હતી, પરંતુ હાલ તો RBI ના દરવાજા પણ લોકો માટે બંધ થઇ ગયાં છે. હવે ભારતીય રિઝર્વ બેંકમાં માત્ર એ લોકો જ જૂની ચલણી નોટો બદલાવી શકે છે, જેઓ નવેમ્બર અને ડિસેમ્બરમાં દેશની બહાર હતા
કલકત્તા, અમદાવાદ જેવા શહેરોમાં જ્યારે લોકો ભારતીય રિઝર્વ બેંકમાં જૂની ચલણી નોટો જમા કરાવવા ગયા ત્યારે એમને જવાબ મળ્યો છે કે, નોટો બદલવાનો કોઇ ગ્રેસ પિરિયડ નહોતો. RBI ના એક અધિકારીના જણાવ્યા અનુસાર આ પૉલિસી સરકારના વટહુકમ અને નોટિફિકેશનમાં છે, જે અનુસાર 1 જાન્યૂઆરીથી 31 માર્ચ સુધીનો ગ્રેસ પિરિયડ માત્ર એ લોકો માટે છે જેઓ આ 50 દિવસ દરમિયાન દેશની બહાર હતા.
8 નવેમ્બર, 2015ના રોજ નરેન્દ્ર મોદીએ નોટબંધીની ઘોષણા કરતી વખતે જણાવ્યું હતું કે, જે લોકો 30 ડિસેમ્બર સુધીમાં પૈસા જમા કરાવવામાં નિષ્ફળ રહેશે, તેઓ 31 માર્ચ સુધીમાં RBI માં 500 અને 1000ની જૂની નોટો બદલાવી શકશે. તેમણે કહ્યું હતું કે, 31 માર્ચ 2017 સુધી લોકો જૂની ચલણી નોટો RBI માં જમા કરાવી શકશે. પરંતુ હવે ભારતીય રિઝર્વ બેંક વટહુકમના નામે માત્ર એ લોકોના જ પૈસા જમા કરી રહી છે, જે નવેમ્બર અને ડિસેમ્બર માસ દરમિયાન દેશની બહાર હતા.