ઉત્તરાખંડઃ રેસ્ક્યુ હેલિકોપ્ટર ક્રેશ, 8ના મોત
મળતી માહિતી અનુસાર, સાંજના સમયે વાયુસેનાનું એક ઘણું જ શાનદાર ગણાતું હેલિકોપ્ટર એમઆઇ વી 5 રાહત કાર્યમાં જોતરાયેલું હતું, પોતાના રાબેતા મુજબનું રાહત કાર્ય કરવા માટે આ હેલિકોપ્ટરે કેદારનાથથી ગૌરીકુંડની ઉડાન ભરી હતી. આ હેલિકોપ્ટર અંતિમ સંસ્કારની સામગ્રી લઇને આવી રહ્યું હતું. આ હેલિકોપ્ટરમાં વાયુસેનાના પાંચ અધિકારીઓ અને ત્રણ અન્ય સામાન્ય નાગરીક હતા. હેલિકોપ્ટર કેદારનાથના રેહવાસી વિસ્તાર કે જે હાલ તબાહ થઇ ગયું છે ત્યાં પહોંચ્યું ત્યારે દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું.
દુર્ઘટનાગ્રસ્ત થવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ એવા અહેવાલ મળી રહ્યાં છે કે, હાલ ઉત્તરાખંડમાં વાતાવરણ ખરાબ છે, આકાશમાં વાદળો છે અને રોકાઇ-રોકાઇને વરસાદ પણ પડી રહ્યો છે, જ્યારે આ હેલિકોપ્ટર ઉડી રહ્યું હતું, ત્યારે પણ કંઇક આવું જ વાતાવરણ હતું અને વાદળ માર્ગમાં આવી ગયું હોવાના કારણે આ હેલિકોપ્ટર ક્રેશ થયું હશે.
નોંધનીય છે કે, વાતાવારણમાં થોડો સુધારો થવાના કારણે બચાવ કાર્યએ ગતિ પકડી છે. અત્યારસુધીમાં 97000 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને હજુ છ હજાર નાગરીકો ફસાયા છે, તેમને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, તેવા સમયે આ વધુ એક દુઃખદ સમાચાર આવતા દેશ ફરી એક વખત શોકમાં ગરકાવ થઇ ગયો છે.