યોગી સરકારને બદનામ કરવા રચાયું સહારનપુર હિંસાનું ષડયંત્ર?
ગુપ્ત અહેવાલો અનુસાર, ઉત્તર પ્રદેશના સહરાનપુરમાં ભડકેલ હિંસા એક રાજકીય ષડયંત્ર છે.
ઉત્તર પ્રદેશના સહારનપુરમાં જાતિય હિંસાની ઘટના અચાનક જ નથી બની, આ એક આયોજીત ષડયંત્ર હતું. રાજકારણીય ષડયંત્ર હેઠળ આ હિંસા કરવામાં આવી. ગુપ્ત અહેવાલો અનુસાર, એક રાજકારણીય પક્ષે સહારનપુર હિંસાનું કાવતરું ઘડ્યું હતું.
રાજકીય પક્ષનું ષડયંત્ર
હિંસાની આ આખી ઘટનાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના માટે રાજકીય પક્ષે 50 લાખ રૂપિયા ખર્ચ્યા છે. ગુપ્ત અહેવાલોમાંથી મળેલ માહિતી અનુસાર, રાજકીય પક્ષની તો ઇચ્છા હતી કે આ હિંસાના બનાવો ચાલુ રહે, જેથી યોગી આદિત્યનાથની સરકાર પર આરોપ લગાવી શકાય કે ઉત્તર પ્રદેશમાં દલિતો હિંસાનો શિકાર બની રહ્યાં છે.
આવી હિંસક ઘટના પહેલા ક્યારેય નથી બની
યુપીના મુખ્ય ગૃહ સચિવ મણિ પ્રસાદ મિશ્રા અનુસાર સહારનપુરમાં જે જાતીય સંઘર્ષ જોવા મળ્યો, તે એક ષડયંત્ર હતું. એક પત્રકાર પરિષદને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે, છેલ્લા થોડા વર્ષોમાં સહારનપુર અને તેની આસપાસના જિલ્લાઓમાં હિંસાની ઘટનાઓ બની હતી, પરંતુ જે રીતની હિંસાની આ વખતે જોવા મળી છે, એવી પહેલાં ક્યારેય જોવા નથી મળી. સહારનપુરમાં 20 એપ્રિલના રોજ હિંસાની ઘટના બની હતી અને ત્યાર બાદ 5 મે, 9 મે અને 23 મે એમ એક પછી એક હિંસાની ઘટનાઓ સામે આવી છે.
50 લાખ રૂપિયા ક્યાંથી આવ્યા?
5 મેના રોજ રાજપૂતો અને દલિતો વચ્ચેના વિવાદ બાદ સહારનપુરમાં હિંસાએ મોટું રૂપ ધારણ કર્યું હતું. જે પછી પોલીસ અને યોગી સરકાર ત્યાંની પરિસ્થિતિ સામાન્ય કરવા માટે કાર્યરત છે. અનેક પ્રયત્નો છતાં આ મામલો સંપૂર્ણ રીતે શાંત નથી થઇ શક્યો, જેની પાછળ કોઇ રાજકીય રમત હોવાની વાત સ્પષ્ટ છે. પોલીસ તપાસ કરી રહી છે કે, આ હિંસક બનાવો માટે જે 50 લાખ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે, એ કઇ રીતે અને ક્યાંથી આવ્યા?
સંપૂર્ણ UPમાં હિંસા ભડકાવવાની હતી તૈયારી
ઇન્ટેલિજન્સ બ્યૂરો સહારનપુર હિંસા અંગેની માહિતી અને તથ્યો એકઠા કરવામાં વ્યસ્ત છે. એક અધિકારી અનુસાર સહારનપુર હિંસા બાદ ચેઇન બનાવી સંપૂર્ણ રાજ્યમાં હિંસા ભડકાવવાની તૈયારી કરવામાં આવી હતી. સહારનપુર હિંસામાં બહારના લોકોએ મોટી ભૂમિકા ભજવી છે, એ લોકો કોણ છે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. 5 મેના રોજ દલિતો અને રાજપૂતો વચ્ચે થયેલ ઝડપમાં એક ઠાકુર યુવકનું મૃત્યુ થયું હતું, જે પછી રાજપૂતોએ 50 દલિતોના ઘરને આગ ચાંપી દીધી હોવાની ખબરો મળી હતી.