ગેરકાયદેસર હથિયારના મામલે સંજય દત્તને ફરી થઇ શકે છે જેલ
બોમ્બે હાઇકાર્ટમાં મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે, જો નિયમો તૂટતા હોય તો સરકારને સંજય દત્તને ફરી જેલ મોકલવામાં કોઇ વાંધો નથી.
સંજય દત્ત ગેરકાયદેસર હથિયાર રાખવાના મામલે જેલમાંથી સમય પહેલાં જ બહાર આવી ગયા હતા. આ મામલે ગુરૂવારે બોમ્બે હાઇકોર્ટમાં સુનવણી થઇ હતી. આ સુનવણીમાં મહારાષ્ટ્ર સરકારે દલીલ કરતાં કહ્યું હતું કે, જો સંજય દત્તને પેરોલ કે ફર્લો આપવામાં કોઇ પણ પ્રકારના નિયમો તૂટ્યા હોય, તો સરકારને સંજય દત્તને ફરીથી જેલમાં નાંખવા સામે કોઇ વાંધો નથી.
સારા વર્તનને ધ્યાનમાં રાખતા મળી હતી મુક્તિ
આ મામલે બોમ્બે હાઇકોર્ટે કહ્યું હતું કે, સરકારે અભિનેતાના સારા વર્તનને ધ્યાનમાં રાખીને પેરોલ આપ્યા હતા, આ માટે તેમણે એક અલગ સોગંદનામું રજૂ કરવાનું રહેશે. નોંધનીય છે કે, ફેબ્રૂઆરી, 2016માં સંજય દત્તના સારા વર્તનને ધ્યાનમાં રાખતાં તેમને સજા પૂરી થવાના 8 મહિના પહેલાં જ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. આની સામે વાંધો લેતાં સમાજીક કાર્યકર્તા નીતીન સાતપુતેએ પીઆઇએલ ફાઇલ કરી હતી.
મહારાષ્ટ્ર સરકારની સ્પષ્ટતા
આની સામે મહારાષ્ટ્ર સરકાર તરફથી હાઇ કોર્ટને રજૂ કરવામાં આવેલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, અભિનેતાને તેમના સારા વર્તન, શિસ્તબદ્ધતા, વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે, શારીરિક વ્યાયામ, અભ્યાસને લગતા કાર્યક્રમો, સોંપેલ કામ સમયસર પૂરું કરવું વગેરેને આધારે પેરોલ આપવામાં આવ્યા હતા. આ સામે કોર્ટ વધુ સ્પષ્ટતા માંગી છે.
હાઇકોર્ટનો નિર્ણય
આ પહેલાં પણ બોમ્બે હાઇકોર્ટમાં આ અંગે સુનવણી થઇ ચૂકી છે, પરંતુ ત્યારે મહારાષ્ટ્ર સરકાર તરફથી કરવામાં આવેલ દલીલથી કોર્ટને સંતોષ નહોતો થયો. આથી હવે હાઇકોર્ટે સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ કારણ 'અભિનેતાના સારા વર્તન' પર જ ધ્યાન કેન્દ્રિત કરતાં આ અંગે વિગતવાર સોગંદનામું તૈયાર કરવાનું જણાવ્યું છે.
વર્ષ 1993 બોમ્બ વિસ્ફોટ
નોંધનીય છે કે, પોતાની સજા દરમિયાન પણ સંજય દત્તને અવાર-નવાર પેરોલ આપવામાં આવતા હતા. આવી સુવિધા અન્ય કેદીઓને ભાગ્યે જ મળે છે. ગેરકાયદેસર હથિયાર રાખવાના મામલે વર્ષ 1993માં પહેલીવાર સંજય દત્તની ધપરપકડ કરવામાં આવી હતી. સંજય દત્ત પાસેથી એકે 56 રાઇફલ મળી આવી હતી, જે 12 માર્ચ 1993માં થયેલ મુંબઇ વિસ્ફોટના હથિયારો સાથે મુંબઇ લવાઇ હોવાનું બહાર આવ્યું હતું.