શશિકલા જેલના સળિયા પાછળ, દીપાનો રાજકારણમાં પ્રવેશ
મંગળવારે આવકથી વધુ સંપત્તિના કેસમાં આવેલા ચૂકાદાને આધારે શશિકલાને 4 વર્ષની જેલની સજા મળી હતી, તો બીજી બાજુ પન્નીરસેલ્વમ જયલલિતાની ભત્રીજી દીપા સાથે અમ્માની સમાધિ પર પહોંચ્યા હતા.
તમિલનાડુ માં ચાલી રહેલા રાજકાણીય સંકટમાં એક પછી એક ચહેરાઓ અને મુદ્દાઓ ઉમેરાતા જાય છે. મંગળવારના રોજ આવકથી વધુ સંપત્તિના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા શશિકલા અને તેમના અન્ય બે સંબંધીએ દોષીત જાહેર કરતાં કોર્ટે 4 વર્ષની જેલની સજા ફટકારી છે. આ સાથે જ એઆઇએડીએમકેના 120 ધારાસભ્યોના દળે મળીને ઓ.પન્નીરસેલ્વમ ને પાર્ટીમાંથી બરતરફ કરવાનો નિર્ણય લીધો હતો.
એઆઇએડીએમકે ના ધારાસભ્ય દળનું નેતૃત્વ ઇ.પલાનીસામીને આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આવકથી વધુ સંપત્તિના કેસમાં દોષીત જાહેર થયા બાદ હવે શશિકલા લગભગ 10 વર્ષ સુધી રાજકારણમાં સક્રિય નહીં થઇ શકે. આથી જ 120 ધારાસભ્યોની બેઠકે મળીને ઇ.પલાનીસામીને નેતા જાહેર કર્યાં છે.
અહીં વાંચો - તમિલનાડુમાં જ્યારે બે લોકોના ઝગડામાં ત્રીજો ફાવી ગયો..
પહેલા સરન્ડર, પછી પુનર્વિચારની અરજી
આ સાથે જ શશિકલા સુપ્રીમ કોર્ટમાં પુર્વિચાર અરજી દાખલ કરવાની પણ યોજના બનાવી રહ્યાં છે. સુપ્રીમ કોર્ટના ચૂકાદામાં શશિકલાને સરન્ડર કરવા માટે કોઇ ચોક્કસ સમયગળો આપવામાં નહોતો આવ્યો. આ કારણે જ અનુમાન લગાવાઇ રહ્યું છે કે, શશિકલાએ બને એટલું જલ્દી કોર્ટ સમક્ષ સરન્ડર કરવું પડશે. શશિકલાના કાનૂની સલાહકારોએ તેમને પહેલા કોર્ટ સમક્ષ હાજર થઇ જવાની અને ત્યાર બાદ પુનર્વિચારની અરજી દાખલ કરવાની સલાહ આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શશિકલા બુધવારે બેંગ્લુરૂ પહોંચશે અને કોર્ટ સમક્ષ સરન્ડર કરશે અને ત્યાંથી તેમને સેન્ટ્રલ જેલ લઇ જવામાં આવશે.
અહીં વાંચો - સુપ્રિમ કોર્ટનો ચુકાદો, શશિકલા નહીં બની શકે CM
દીપાની રાજકારણમાં એન્ટ્રી
બીજી બાજુ, એઆઇએડીએમકે પાર્ટીમાંથી બરતરફ થયા બાદ ઓ.પન્નીરસેલ્વમે જયલલિતાની ભત્રીજી દીપા સાથે હાથ મિલાવ્યો હોવાની ખબર આવી છે. મંગળવારે પન્નીરસેલ્વમ પોતાના સમર્થકો અને જયલલિતાની ભત્રીજી દીપા સાથે જયલલિતાની સમાધિ પર પહોંચ્યા હતા. પન્નીરસેલ્વમ અને દીપાએ જયલલિતાને શ્રદ્ધાંજલિ આપી હતી અને ત્યાર બાદ દીપાએ કહ્યું હતું કે, અમ્માના આશીર્વાદ સાથે આ તેમનો રાજકારણમાં સત્તાવાર પ્રવેશ છે. આ સાથે જ તેમણે પન્નીરસેલ્વમના વખાણ કરતાં કહ્યું હતું કે, અમ્માના વારસાને જો કઇ આગળ લઇ જઇ શકે એમ હોય તો તે પન્નીરસેલ્વમ છે. દીપાએ પન્નીરસેલ્વમનો આભાર પણ માન્યો હતો. આથી હવે અટકળો લગાવવામાં આવી રહી છે કે, દીપા પોતાની રાજકારણીય કારકિર્દીની શરૂઆત ઓ.પન્નીરસેલ્વમ સાથે કરશે.