ગોવા: BJPના સરકાર બનાવવાના દાવાને SCમાં કોંગ્રેસનો પડકાર
ગોવાના રાજ્યપાલ મૃદુલા સિંહે મનોહર પર્રિકરને ગોવાના નવા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યાં છે. સાથે તેમને 15 દિવસની અંદર ગોવા વિધાનસભામાં બહુમત સાબિત કરવાનું કહેવામાં આવ્યું છે.
ગોવા માં મનોહર પર્રિકર મુખ્યમંત્રી પદની શપથ લે એ પહેલાં જ એક મુસીબત સામે આવી ઊભી છે. મનોહર પર્રિકરને મુખ્યમંત્રી બનાવવાના નિર્ણયને કોંગ્રેસે સુપ્રીમ કોર્ટ માં પડકાર્યો છે. કોંગ્રેસે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, ઓછી બેઠકો મળી હોવા છતાં સરકાર બનાવવાનો દાવો કરવો એ લોકતંત્રની હત્યા છે. સુપ્રીમ કોર્ટ કોંગ્રેસની અરજી પર બને એટલી જલ્દી સુનાવણી કરવા તૈયાર થઇ ગઇ છે. મંગળવારે સવારે આ અરજી પર સુનાવણી કરવામાં આવશે. કોંગ્રેસ આ મુદ્દાને સંસદમાં પર રજૂ કરશે.
ઉલ્લેખનીય છે કે, 40 બેઠક ધરાવતી ગોવા વિધાનસભામાં ભાજપ પાસે બહુમત નથી. ભાજપ પાસે 13 બેઠકો છે. ભાજપ નાના અને અપક્ષ ધારાસભ્યોના સમર્થન સાથે સરકાર બનાવવાની તૈયારી કરી રહી છે. કોંગ્રેસ 17 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બની છે, આમ છતાં કોંગ્રેસ સરકાર નથી બનાવી શકતી, આથી કોંગ્રેસે ભાજપના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનું નક્કી કર્યું છે.
અહીં વાંચો - મણિપુર: ભાજપ સરકારના નવા CM, બિરેન સિંહ કોણ છે?
રવિવારે ભાજપે મનોહર પર્રિકરના નેતૃત્વમાં ગોવામાં સરકાર બનાવવાનું નક્કી કર્યું છે. ગોવાના રાજ્યપાલ મૃદુલા સિંહે મનોહર પર્રિકરને ગોવાના નવા મુખ્યમંત્રી નિયુક્ત કર્યાં છે અને સાથે તેમને 15 દિવસની અંદર વિધાનસભામાં બહુમત સાબિત કરવાનું કહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે હવે નિર્ણય ગવર્નર પર છે, બની શકે કે સુપ્રીમ કોર્ટના નિર્ણયને પરિણામે શપથ ગ્રહણનો સમારોહ ટાળવામાં આવે.