સરકારનો મોટો નિર્ણય, એટીએમની સાથે સાથે હવે પેટ્રોલ પંપ પર મળશે કેશ
500 અને 1000 રુપિયાની નોટો પર પ્રતિબંધના કારણે લોકો કેશની સમસ્યાથી હેરાન થઇ રહ્યા છે ત્યારે સરકારે મોટી રાહત આપી છે...
નોટબંધીથી ત્રસ્ત આમ જનતાને રાહત આપવા માટે સરકારે એક નવો રસ્તો અપનાવ્યો છે. જો તમારે રોકડ રકમની જરુર હોય અને તમે પેટ્રોલ પંપ પર જાવ તો ત્યાંથી ડેબિટ કાર્ડ સ્વાઇપ કરી કેશ લઇ શકાશે.
કેશની સમસ્યામાંથી મુક્ત થવાની કવાયત
500 અને 1000 રુપિયાની નોટો પર પ્રતિબંધને કારણે જો તમે કેશની સમસ્યાથી પરેશાન હોવ તો સરકારે તમને મોટી રાહત આપી છે. ઓલ ઇંડિયા પેટ્રોલિયમ એસોસિએશને સરકાર સાથે મળીને કેશ આપવા માટે જરુરી પગલા લીધા.
એટલે કે જો તમે શુક્રવારે પેટ્રોલ પંપ પર તમારી ગાડીમાં પેટ્રોલ નખાવવા જાવ તો તમને ત્યાંથી કેશ ઉપાડવાની પણ સુવિધા મળી શકશે. તમારે બસ તમારા ડેબિટ કાર્ડને સ્વાઇપ કરવાનુ રહેશે અને 2000 રુપિયા સુધીની કેશ મળી જશે. હાલમાં આ સુવિધા દેશના અમુક 2500 પેટ્રોલ પંપ પર જ મળશે. વાસ્તવમાં આ પેટ્રોલ પંપ પર એસબીઆઇ બેંકના પીઓએસ હાજર હશે. જેમની પાસેથી લોકો કેશ મેળવી શકશે.
કાર્ડ સ્વાઇપ કરીને પેટ્રોલ પંપ પરથી મેળવો કેશ
શરુઆતમાં આ સુવિધા 2500 પેટ્રોલ પંપ પર મળશે. આગામી દિવસોમાં આ આંકડો વધારવાની કોશિશ કરવામાં આવશે. આશા રાખવામાં આવી રહી છે કે આશરે 20 હજાર પેટ્રોલ પંપ આગામી ત્રણ દિવસમાં આ સુવિધા આપશે.
બેઠકમાં લેવાયો નિર્ણય
સ્ટેટ બેંક ઓફ ઇંડિયાના પ્રમુખ અરુંધતિ ભટ્ટાચાર્ય અને ઇંડિયન ઓઇલ, હિંદુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમના વરિષ્ઠ અધિકારીઓની ગુરુવારે થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. એઆઇપીડીના અધ્યક્ષ અજય બંસલે જણાવ્યુ કે અમે સરકારને આ પ્રસ્તાવ આપ્યો હતો. 14 નવેમ્બરે અમે પ્રધાનમંત્રીને પત્ર લખીને કેશ આપવાની અપીલ કરી અને કહ્યુ કે આમ જનતા માટે આ પગલુ રાહતભર્યુ રહેશે જેનો તેમણે સ્વીકાર કર્યો.