છે કોંગ્રેસના દિગ્ગજ નેતા, પણ વખાણ કર્યા PM મોદીના...
વરિષ્ઠ કોંગ્રેસ નેતા એમ.વી.રાજશેખરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે, તેઓ ઇન્દિરા ગાંધીની માફક જ ગરીબોની વાત કરે છે.
દરેક ચૂંટણી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની લોકપ્રિયતા વધતી જાય છે. જે રીતે તેઓ એક પછી એક ચૂંટણી જીતતા જાય છે, તેને કારણે તેઓ વર્તમાન સમયના સૌથી મોટા નેતા તરીકે સ્થાપિત થઇ રહ્યાં છે. પીએમ મોદીની લોકપ્રિયતા માત્ર તેમની પાર્ટીમાં જ નહીં, પરંતુ બીજી પાર્ટીના નેતાઓમાં પણ ફેલાઇ રહી છે. કોંગ્રેસ ના દિગ્ગજ નેતા એમ.વી.રાજશેખરન એ વાતનું જીવતુ જાગતું ઉદાહરણ છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતાં તેમની તુલના ઇન્દિરા ગાંધી સાથે કરી છે.
ઇન્દિરા ગાંધી સાથે તુલના
કોંગ્રેસના કર્ણાટકના વરિષ્ઠ નેતા તથા પૂર્વ કેન્દ્રિય મંત્રી એમ.વી.રાજશેખરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતાં તેમની તુલના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સાથે કરી છે. ઉત્તર પ્રદેશ તથા ઉત્તરાખંડમાં બે તૃતીયાંશ બહુમત સાથે જીતનાર પીએમ મોદીને રાજશેખરને પરિણામો જાહેર થયા બાદ પત્ર લખીને અભિનંદન આપ્યા હતા. તેમણે કેન્દ્રિય મંત્રી વેંકૈયા નાયડુને પણ પત્ર લખી અભિનંદન પાઠવ્યા હતા. તેમણે પોતાના પત્રમાં લખ્યું હતું, લોકતંત્રની સફળતામાં આપનું યોગદાન વખાણવા યોગ્ય છે.
રાજશેખરને પીએમની યોજનાઓની તુલના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના 'ગરીબી હટાઓ'ના નારા સાથે કરી છે. 'ઇન્દિરા ગાંધીએ 'ગરીબી હટાઓ'નો નારો લગાવ્યો હતો, પીએમ મોદી મધ્યમ વર્ગ તથા વિકાસના ભાગીદાર બનવાની વાત કરે છે. વર્ષ 1971માં વિપક્ષી દળોએ 'ઇન્દિરા હટાઓ'નો નારો આપ્યો હતો, ત્યારે ઇન્દિરા ગાંધીએ 'ગરીબી હટાઓ'નો નારો આપ્યો હતો.'
મધ્યમ વર્ગ સાથે સીધો સંવાદ
રાજશેખરને વડાપ્રધાનને લખેલ પોતાના પત્રમાં કહ્યું કે, પીએમ તરીકે તેમણે લોકો સાથે સીધો સંવાદ સ્થાપિત કર્યો છે, દરેક જાતિ અને ધર્મની મહિલાઓ તથા ગરીબોએ તેમનું સમર્થન કર્યું છે. રાજશેખરન કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એસ.નિજાલીનગપ્પાના પુત્ર છે. પોતાના પત્રમાં તેમણે લખ્યું છે, તમને યાદ હશે સ્વર્ગીય ઇન્દિરા ગાંધી જ્યારે વડાપ્રધાન હતા, ત્યારે તેમણે 'ગરીબી હટાઓ'નો નારો આપ્યો હતો અને તેમને લોકોનું જબરજસ્ત સમર્થન મળ્યું હતું. તમે પણ જે રીતે મધ્યમ વર્ગની વાત કરો છે, તેમની સમસ્યાઓના સમાધાન માટે પહેલ કરો છો, તેમને વિકાસના બરાબરના ભાગીદાર ગણો છો, તે ખરેખર વખાણવા લાયક છે. જ્યારે પણ કશે મોટી ક્રાંતિ થાય, તેની પાછળ રાજકારણીય પરિવર્તન જવાબદાર હોય છે. સરકારમાં પરિવર્તન લાવવામાં મધ્યમ વર્ગે ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે.
82 ટાક યુવા મહત્વપૂર્ણ છે
રાજશેખરને આગળ લખ્યું છે, તમારા સ્વભાવને કારણે લોકોએ લોકો સાથે સીધો સંપર્ક સ્થાપિત કર્યો, જેમાં યુવા વર્ગ મહત્વપૂર્ણ છે. આપણી ચૂંટણી વ્યવસ્થામાં 82 ટકા યોગદાન યુવા વર્ગનું હોય છે. તમારા સ્વભાવને કારણે દરેક ધર્મ અને જાતિના લોકોએ તમારું સમર્થન કર્યું. તેમણે કહ્યું કે, પીએમ મોદી ગરીબીને દૂર કરવા તથા મહિલાઓના સશક્તિકરણમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે, જેને કારણે દેશના વિકાસમાં તેમનો(ગરીબો તથા મહિલાઓનો) બરાબર સહયોગ મળી રહ્યો છે
કોંગ્રેસની વધશે મુસીબત?
નોંધનીય છે કે, કર્ણાટકમાં નજીકના ભવિષ્યમાં ચૂંટણી યોજાનાર છે, એવા સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતા તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ સાંભળવા મળ્યા છે. હાલમાં જ કોંગ્રેસના અન્ય એક દિગ્ગજ નેતા તથા પૂર્વ વિદેશ મંત્રી એસ.એમ.કૃષ્ણાએ કોંગ્રેસનો સાથ છોડી ભાજપ સાથે હાથ મિલાવ્યો છે. એવામાં વધુ એક મોટા નેતા તરફથી પીએમ મોદીની તરફેણમાં નિવેદન કોંગ્રેસ માટે આવનારા સમયમાં મુસીબત ઊભી કરી શકે છે.
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અંગે રાજશેખરને જણાવ્યું કે, તેમને વધુ સારા ફીડબેકની જરૂર છે. હાલના સમયમાં તેમને સારા ફીડબેક નથી મળી રહ્યાં. તેમણે સ્થાનિક નેતાઓને આગળ કરવા પડશે, કોઇ નેતા દિલ્હીમાં બેસી પરિવર્તન ન આણી શકે.
અહીં વાંચો