મગરના આંસુ દેખાડવાથી કોઇ ફાયદો નહીં થાય - પન્નીરસેલ્વમ
પન્નીરસેલ્વમે પણ સમર્થકોને સંબોધિત કરતાં કહ્યું કે, શશિકલાના આંસુ મગરના આંસુ છે, એનાથી કોઇ ફાયદો નહીં થાય.
તમિલનાડુમાં શરૂ થયેલાં રાજકારણીય દંગલમાં હવે વાકયુદ્ધ શરી થઇ ચૂક્યું છે. એઆઇએડીએમકે હાલ બે દળમાં વહેંચાઇ ગયું છે. એક દળ ઓ.પન્નીરસેલ્વમ ના સમર્થનમાં છે તો બીજુ શશિકલા ના સમર્થનમાં. બંન્ને નેતાઓ એકબીજા પર આરોપ લગાવી રહ્યાં છે અને પોતે અમ્મા ના રસ્તે ચાલતા હોવાનો દાવો કરી રહ્યાં છે.
રવિવારે શશિકલા કુવાથુરમાં પાર્ટીના ધારાસભ્યોને મળ્યાં હતા, જે દરમિયાન તેઓ ભાવુક થઇ ગયા હતા અને ત્યાર બાદ તેમણે પત્રકાર પરિષદ પણ સંબોધી હતી. શશિકલાના સંબોધનના તુરંત બાદ પન્નીરસેલ્વમે પોતાના સમર્થકોનું સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, શશિકલાના આંસુ મગરના આંસુ છે, એનાથી કોઇ ફાયદો નહીં થાય. પાર્ટીના ધારાસભ્યો મારા સંપર્કમાં છે.
અહીં વાંચો - પન્નીરસેલ્વમે બેંકને લખ્યું, પાર્ટીના પૈસા તેમને પૂછીને જ આપવામાં આવે
તેમણે એમ પણ કહ્યું કે, પાર્ટીના ધારાસભ્યોને નજરબંધ કરવામાં આવ્યા છે અને દરેક ધારાસભ્ય પાછળ 4 ગુંડા લગાવવામાં આવ્યા છે. તેમણે સમર્થકોને સવાલ કર્યો કે, કાલે શશિકાલા કુવાથુરમાં ધારાસભ્યોને મળવા કેમ ગયા? જયલલિતાની ભત્રીજી દીપાને અમ્માના શબના દર્શન કેમ ન કરવા દેવામાં આવ્યા? મગરના આંસુ વહેવડાવવાથી કે વાતો બનાવવાથી કોઇ ફાયદો નહીં થાય. અમે વિધાનસભામાં બધું સાબિત કરી દઇશું.