અઝાન વિવાદ પર સોનુને મળ્યું અદનાન સામીનું સમર્થન
અદનાન સામીએ કહ્યું કે, મને માત્ર એટલી ખબર છે કે, સોનુ નિગમ ખૂબ સારા વ્યક્તિ છે, હું ઘણા વર્ષોથી તેમને ઓળખું છું. તે ખૂબ જ ભલા વ્યક્તિ છે. ચોક્કસ કોઇ ગરસમજ થઇ છે.
અઝાન અંગે ટ્વીટ કરી સોનુ નિગમ બરાબર ફસાયા છે. ટ્વીટર અને પત્રકાર પરિષદમાં સફાઇ આપી હોવા છતાં અને મૌલવીના ફતવા અનુસાર મુંડન કરાવ્યું હોવા છતાં આ વિવાદ હજુ શમ્યો નથી. રોજ આ વિવાદમાં એક નવો મુદ્દો ઉમેરાઇ રહ્યો છે. એવામાં સોનુને બોલિવૂડ ગાયક અદનાન સામી નો સાથ મળ્યો છે.
અદનાને સોનુના ટ્વીટ અંગે આજ તક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં કહ્યું કે, મને ખબર નથી કે તેમણે શું ટ્વીટ કર્યું છે. હું બહાર હતો, આથી મારી પાસે વિગતો નથી. પરંતુ મને એટલું ચોક્કસ ખબર છે કે, સોનુ ખૂબ સારા વ્યક્તિ છે. હું વર્ષોથી એમને ઓળખું છું. તે ખૂબ ભલા વ્યક્તિ છે, ચોક્કસ કોઇ ગેરસમજ ઊભી થઇ છે.
ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને મુક્ત કરો
સોનુની વાતનું સમર્થન કર્યા બાદ અદનાને પાકિસ્તાનની જેલમાં કેદ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને મુક્ત કરવાની પણ અપીલ કરી હતી. આ મામલે આખા બોલિવૂડે ચુપ્પી સાધી છે, તેવામાં માત્ર અદનાને કહ્યું કે, કોઇ પણ રીતે આ મામલો ઉકેલી, કુલભૂષણ જાધવને ભારત પરત લાવવા જોઇએ.
અહીં વાંચો - સુરતી યુવકે અઝાન મામલે સોનુ નિગમને આપી મારી નાંખવાની ધમકી
મસ્જિદની અઝાન પર ટ્વીટ
ઉલ્લેખનીય છે કે, ગત સોમવારે સોનુ નિગમે ટ્વીટ કર્યું હતું કે, તેઓ મુસ્લિમ નથી, તો પછી તેમણે શા માટે રોજ સવારે મસ્જિદની અઝાનના અવાજથી ઉઠવું પડે છે? તેમણે પોતાના ટ્વીટમાં કીર્તન અને ગુરૂદ્વારાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમને ઇશારો અઝાનમાં ઉપયોગમાં લેવાતા લાઉડસ્પીકર તરફ હતો.