5 રાજ્યોના ચૂંટણી પરિણામો સમયે દેશમાં નહીં હોય સોનિયા ગાંધી?
સોનિયા ગાંધીની ગેરહાજરીમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને નિર્ણયો લેવાનો અધિકાર આપવામાં આવ્યો છે.
11 માર્ચના રોજ પાંચેય રાજ્યોની વિધાનસભા ચૂંટણી ના પરિણામો આવનાર છે અને કોંગ્રેસ ના સુપ્રીમો સોનિયા ગાંધી એ જ દિવસે દેશમાં હાજર નહીં હોય. સોનિયા ગાંધી ઇલાજ માટે વિદેશ ગયા છે. ઉલ્લેખનીય છે કે, પોતાની ખરાબ તબિયતને કારણે જ સોનિયા ગાંધીએ આ વખતે ચૂંટણી પ્રચારમાં પણ ભાગ નહોતો લીધો, પરંતુ તેમણે મતદારો માટે એક સંદેશ બહાર પાડ્યો હતો.
સોનિયા ગાંધીના વિદેશ જવા અંગે પાર્ટીના સૂત્રોએ જાણકારી આપતાં કહ્યું કે, નિયમિત મેડિકલ ટેસ્ટ માટે તેઓ બુધવારે રાત્રે જ વિદેશ જવા રવાના થયા હતા. તેઓ સોમવારે હોળી બાદ જ પરત ફરશે.
સોનિયા ગાંધી ઇલાજ કરાવવા કયા દેશમાં ગયા છે, એ અંગે કોઇ સ્પષ્ટીકરણ આપવામાં નથી આવ્યું. વિદેશ રવાના થતાં પહેલાં તેમણે પાર્ટીના વરિષ્ઠ નેતાઓની બેઠક બોલાવી હતી. તેમની ગેરહાજરીમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ને નિર્ણયો લેવાનો અધિકાર આપવામાં આવ્યો છે. બજેટ સત્રની તૈયારીઓ અંગે શુક્રવારે યોજાનારી કોંગ્રેસ સાંસદોની બેઠકના અધ્યક્ષ પણ રાહુલ ગાંધી જ રહેશે.
અહીં વાંચો - પાંચ રાજ્યોનો એક્ઝિટ પોલ: 3માં ભાજપ, 2માં કોંગ્રેસ આગળ
પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ પણ કોંગ્રેસના ધારાસભ્યોની યોજના-રણનીતિ વગેરે અંગે નિર્ણયો લેવાનું કામ રાહુલ ગાંધી કરશે. નોંધનીય છે કે, સોનિયા ગાંધી છેલ્લા સાત મહિનાથી પડદા પાછળ રહીને જ કામ કરી રહ્યાં છે. સાત મહિના પહેલાં તેમણે વારાણસીમાં રોડ શો કર્યો હતો, તે સમયે પણ રોડ શો દરિમાયન અચાનક તબિયત બગડતાં તેમણે ચૂંટણી પ્રચાર અધૂરો છોડી ઘરે જવું પડ્યું હતું.