ગૌરક્ષકોના મામલે રાજસ્થાન સહિત 6 રાજ્યોને SCની નોટિસ
હરિયાણાં રહેતા 15 લોકો 6 ગાડીઓમાં ગાયો ભરી લઇ જઇ રહ્યાં હતા. આ દરમિયાન અલવર જિલ્લાના બહરોડ પાસે કથિત ગૌરક્ષકો દ્વારા તેમની પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું.
શુક્રવારે સુપ્રીમ કોર્ટે અલવર હુમલા મામલે કેન્દ્ર અને રાજસ્થાન સરકારને નોટિસ ફટકારી ત્રણ અઠવાડિયાની અંદર જવાબ માંગ્યો છે. થોડા દિવસો પહેલાં રાજસ્થાનના અલવર માં ખેડૂત પહલૂ ખાનની ગૌ-તસ્કરીના આરોપ હેઠળ પિટાઇ કરવામાં આવી હતી, આ ઘટનામાં પહલૂ ખાનનું મૃત્યુ થયું હતું. આ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા રાજસ્થાન ઉપરાંત ગુજરાત, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટક સરકારને પણ નોટિસ જાહેર કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગત શનિવારે કથિત ગૌરક્ષા સમૂહના સભ્યો દ્વારા ગાયો લઇને જઇ રહેલાં 15 લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો. ગૌરક્ષકોએ તેમને ઢોર માર માર્યો હતો. મંગળવારના રોજ આમાંના એક વ્યક્તિ પહલૂ ખાનનું હોસ્પિટલમાં જ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ લોકો હરિયાણાના રહેવાસી હતા, રાજસ્થાનના અલવર જિલ્લાના બહરોડ પાસે તેમની પર હુમલો કરવામાં આવ્યો હતો.
અહીં વાંચો - ભેંસની જગ્યાએ ખરીદી ગાય, તો મળ્યું મૃત્યુ
આ હુમલામાં મૃત્યુ પામેલ વ્યક્તિનું નામ પહલૂ ખાન હતું, જે એક ખેડૂત હતા તથા ભેંસ ખરીદવા માટે રાજસ્થાનના જયપુર શહેર આવ્યા હતા. જો કે, ગાયવાળાએ તેમને ઊભા-ઊભા 12 લિટર દૂધ કાઢી આપતાં પહલૂ ખાને આખરે ભેંસની જગ્યાએ ગાય ખરીદી હતી. પહલૂ ખાનનો આ નિર્ણય તેમને માટે જીવલેણ સાબિત થયો.