IIT-JEEમાં પ્રવેશ મેળવવો થયો સરળ, સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ દૂર કર્યો
આઇઆઇટી અને જીઇઇમાં એડમિશન મેળવવું બન્યું સરળ. સુપ્રીમ કોર્ટે તેની પર લગાવેલો પ્રતિબંધ કર્યો દૂર. જાણો શું છે આખો મામલો અહીં.
આઇઆઇટીમાં એડમિશન મેળવવાની ઇચ્છા રાખતા વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર છે. સુપ્રિમ કોર્ટે IIT-JEEના એડમિશન અને કાઉન્સલિંગ પર લાદવામાં આવેલા પ્રતિબંધને હવે દૂર કર્યો છે. બોનસ નંબરના કારણે 7 જુલાઇના રોજ સુપ્રિમ કોર્ટે જ IIT-JEEના એડમિશન અને કાઉન્સલિંગ પર રોક લગાવી હતી. સોમવારે થયેલી સુનવણી પછી સુપ્રીમ કોર્ટે IIT-JEEના એડમિશન પર પ્રતિબંધ દૂર કરી દીધો છે.આ વખત પરીક્ષા આઇઆઇટી મદ્રાસે આયોજીત કરી હતી. પણ પરીક્ષામાં બે સવાલ ખોટા હતા જેના કારણે તમામ પરીક્ષાર્થીઓને કુલ 18 બોનસ માર્ક્સ આપવાના હતા.
પેપર એક માટે 7 અને પેપર 2 માટે 11 બોનસ નંબર તમામ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા. પણ આ નિર્ણયને ઐશ્વર્યા અગ્રવાલ નામની વિદ્યાર્થીએ કોર્ટમાં પડકાર્યો હતો. જે પછી કોર્ટે કાઉન્સલિંગ પર પ્રતિબંધ મૂક્યો હતો.અરજીકર્તાની માંગણી હતી કે બોનસ અંક તેમને જ આપવામાં આવે જેણે પ્રશ્નનો ઉત્તર આપવાનો પ્રયાસ કર્યો હતો. પણ સવાલનો જવાબ ન આપનારને પણ નંબર આપવાથી મેરિટ લિસ્ટમાં ગરબડ થઇ શકે છે.
અરજીમાં બીજી વખત મેરિટ લિસ્ટ બનાવવાની વાત પણ કરવામાં આવી હતી. અને જો તેમ ના થાય તો ફરી પરીક્ષા લેવાની માંગણી પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ વર્ષે 1 લાખ 72 હજાર 24 વિદ્યાર્થીઓએ પરીક્ષા ફોર્મ ભર્યું હતું. અને 1,59,540 વિદ્યાર્થીઓએ JEE એડવાન્સની પરીક્ષામાં ભાગ લીધો હતો. જેમાંથી 50,455 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અને 33 હજાર વિદ્યાર્થી આઇઆઇટીમાં દાખલો પણ મેળવી ચૂક્યા છે.