આતંકી ફંડિંગ કેસમાં શબ્બીર શાહ 7 દિવસની ઇડી કસ્ટડીમાં
દિલ્હી કોર્ટ દ્વારા કાશ્મીરના અલગતાવાદી નેતા શબ્બીર શાહને ટેરર ફંડિંગના કેસમાં 7 દિવસ ઇડી કસ્ટડીમાં મોકલવામાં આવ્યા.
કાશ્મીરના અલગતાવાદી નેતા શબ્બીર શાહની મંગળવારે રાત્રે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. શબ્બીર શાહ વિરુદ્ધ લગભગ 12 વર્ષ જૂનો કાળા નાણાંને માન્ય બનાવવાનો કેસ ચાલી રહ્યો છે. તેમની પર આરોપ છે કે, કાશ્મીરમાં આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે તેઓ ફંડ એકઠું કરે છે. બુધવારે દિલ્હી કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવ્યા હતા. દિલ્હી કોર્ટ દ્વારા તેમને 7 દિવસ માટે ઇડી કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
શબ્બીરર શાહની ધરપકડના એક દિવસ પહેલાં એનઆઇએ દ્વારા કાશ્મીરમાં પથ્થરબાજીને પ્રોત્સાહન આપવાના ગુના હેઠળ હુર્રિયતના 7 નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. શબ્બીર શાહની ધરપકડ કરતાં પહેલાં ઇડી દ્વારા તેમને 8 વાર હાજર થવા માટે સમન મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેઓ એક પણ વાર હાજર ન થતાં આખરે તેમની ધરપકડ કરવામાં આવી હતી. આખરે ઇડીએ શાહ વિરુદ્ધ દિલ્હી કોર્ટ પાસેથી બિનજામીનપાત્ર વોરંટ લીધું હતું અને તેમની ધરપકડ કરવામાં આવી હતી.
શબ્બીર શાહ પર પહેલીવાર આ આરોપ ત્યારે લાગ્યો હતો, જ્યારે દિલ્હી પોલીસ દ્વારા પકડવામાં આવેલ એક ઑપરેટરે શાહને 2.25 કરોડ રૂપિયા આપ્યા હોવાની કબૂલાત કરી હતી. આ આખા મુદ્દે શાહનું કહેવું છે કે, રાજકારણીય કારણો હેઠળ તેમન જબરજસ્તી આ મામલે ફસાવવામાં આવ્યા છે.