કાશ્મીર ઘાટીમાં ISISના ઝંડામાં લપેટાયેલું મળ્યું આતંકીનું શબ
કાશ્મીર ઘાટીમાંથી એક આતંકીનું શબ આઇઆઇએસના ઝંડામાં લપેટાયેલું મળી આવ્યું હતું.
થોડા દિવસો પહેલાં કાશ્મીર ઘાટીમાં ઘટેલ એક ઘટનાએ સુરક્ષા એજન્સિઓને ચોંકાવી દીધી છે. કાશ્મીર ઘાટીમાં એક આતંકીનું શબ આઇએસઆઇએસના ઝંડામાં લપેટાયેલું મળી આવ્યું હતું. આ ઘટના બાદ આખી ઘાટીમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ આતંકીનું નામ મુખ્તાર અહમદ લોન ઉર્ફે ગાઝી ઉમર હોવાની જાણકારી મળી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ આતંકી પુલવામામાં થયેલ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો, તેની સાથે બીજા બે આતંકી પણ મરાયા હતા. ત્રાલમાં સીઆરપીએફ ટીમ પર થયેલ આતંકી હુમલામાં આ આતંકીની સંડોવણી હોવાનું પણ બહાર આવ્યું હતું. આ ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ તરફથી કહેવાયું છે કે, પુલવામાના સાતૂરા જંગલમાં ઠાર મરાયેલા આતંકીઓમાં બે સ્થાનિક નાગરિક હતા અને એક વિદેશી આતંકી હતો. આતંકી અહમદ લોન ત્રાલનો રહેવાસી હતો અને અન્ય આતંકી પરવેઝ અહમદ મીર પાહૂ પુલવામાનો રહેવાસી હતો. આ બંન્ને અનેક આતંકી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા.
પોલીસ તરફથી આપવામાં આવેલ જાણકારી અનુસાર, ત્રાલના બાલામાં સીઆરપીએફ કેંપ પર જે હુમલો થયો હતો, એમાં બે જવાન ઘાયલ થયા હતા. આ સિવાય ત્રાલના જ લારિયાલમાં એક અન્ય હુમલો થયો હતો, જેમાં 10 સીઆરપીએફ જવાનો ઘાયલ થયા હતા. ત્રાલના પંજૂમાં આર્મી કેંપ પર થયેલ હુમલો, અરિપાલમાં પોલીસ પોસ્ટ પર હુમલો - જેમાં એક સીઆરપીએફ જવાન ઘાયલ થયો હતો; આ તમામ હુમલાઓમાં આતંકી અહમદ લોનની સંડોવણી હતી. અન્ય આતંકી મીર વિશે માહિતી આપતાં પોલીસે જણાવ્યું હતું કે, વર્ષ 2010માં મુશ્તાક અહમદ કુચે અને ચાર લોકોની હત્યા થઇ હતી, એ મામલે મીરને ન્યાયિક કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. અદાલત દ્વારા માર્ચમાં મુક્ત જાહેર થયા બાદ તે આતંકી સંગઠનમાં જોડાયો હતો.