જમ્મુ-કાશ્મીરમાં અનુભવી પથ્થરબાજ આટલી કમાણી કરે છે
જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેના પર હુમલો કરનાર પથ્થરબાજોને મળે છે પગાર
300 કરોડ કોઇ નાની રકમ નથી અને જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા માટે દર મહિને આટલી જ રકમનું રોકાણ થાય છે. જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ અને આતંકવાદ ફેલાય એવા તમામ પ્રયત્નો કેટલાક અલગતાવાદીઓ, આતંકીઓ અને પાકિસ્તાન દ્વારા કરવામાં આવે છે અને આ માટે વપરાતી રકમમાં જુલાઇ, 2016 બાદ સતત વધારો જોવા મળ્યો છે. આ આંકડો હાલ 300 કરોડ પર જઇ પહોંચ્યો છે.
છેલ્લા ઘણા સમયથી જમ્મુ-કાશ્મીરમાં પથ્થરબાજોની હેરાનગતિ ઘણી વધી ગઇ છે. વર્ષ 2010માં પથ્થરબાજને રૂ.200 આપવામાં આવતા હતા, જે આંકડો વધીને રૂ.1000 સુધી પહોંચ્યો હતો. એ સમયે પથ્થરબાજોની માંગ હતી. વિરોધ પ્રદર્શન માટે પથ્થરબાજોને રૂ.1000 સુધીની રકમ આપવામાં આવતી હતી. ત્યાર બાદ ભારતીય સેનાના અભિયાનમાં અડચણ ઉત્પન્ન કરવા માટે પથ્થરબાજોનો ઉપયોગ થવા માંડ્યો, આ માટે દરેક પથ્થરબાજ રૂ.2000 જેટલી રકમ માંગે છે.
રાષ્ટ્રીય તપાસ એજન્સિ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે, જે હાલ હુરિયત ટેરર ફંડિંગ કેસની તપાસ કરી રહી છે. એનઆઇએ(નેશનલ ઇનવેસ્ટિગેશન એજન્સિ) દ્વારા 100 પથ્થરબાજોની ઓળખાણ પણ કરવામાં આવી છે, આ એવા લોકો છે જે પથ્થરમારાની લગભગ દરેક ઘટનામાં જોવા મળ્યા છે.
કઇ રીતે કરતા હતા કામ?
દરેક અલગતાવાદી પાસે પથ્થરબાજોના જૂથ હતા. તેઓ એકબીજા સાથે સંપર્ક કરી સ્થળ નક્કી કરી લેતા કે કઇ જગ્યાએ હિંસા ફેલાવવાની છે. જે પથ્થરબાજોને આ કામનો વધુ અનુભવ હોય તેમને ભારતીય સેનાના અભિયાન દરમિયાન પથ્થરમારો કરવા મોકલવામાં આવતા. આ પથ્થરબાજોનો મુખ્ય હેતુ હોય છે, ભારતીય સેનાનું ધ્યાન તેમના અભિયાન પરથી ખસેડવું, જેથી આતંકવાદી ભાગવામાં સફળ રહે.
તપાસમાં બહાર આવેલ જાણકારી અનુસાર, આ પથ્થરબાજોને પણ બે વિભાગમાં વહેંચવામાં આવ્યા હતા. વધુ અનુભવવાળા પથ્થરબાજો એવા વિસ્તારમાં જતા જ્યાં સેનાનું અભિયાન ચાલી રહ્યું હોય, જ્યારે અન્ય પથ્થરબાજો શેરી અને મહોલ્લાઓમાં વિરોધ પ્રદર્શનો કરતા.