કપિલ મિશ્રાના 5 ગંભીર આરોપ, 'આપ'ની બોલતી બંધ
અરવિંદ કેજરીવાલપર કપિલ મિશ્રાએ 5 ગંભીર આરોપ લગાવ્યા છે, તેમણે કહ્યું, 'મેં કેજરીવાલને 2 કરોડ લેતા જોયા છે.'
આમ આદમી પાર્ટી ની અંદર રવિવારે જાણે ભૂકંપ આવી ગયો. પાર્ટીમાંથી બરખાસ્ત કરવામાં આવેલ મંત્રી કપિલ મિશ્રાએ દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર લાંચ અને ભ્રષ્ટાચાર જેવા ગંભીર આરોપ મુક્યા છે. સાથે તેમણે કહ્યું હતું કે, હું ભ્રષ્ટાચારીઓને જેલ મોકલીને રહીશ. કોઇ પણ માણસથી ભૂલ થઇ શકે છે, અરવિંદ કેજરીવાલ પણ માણસ છે, તેઓ પોતાની ભૂલ માની લે તો વધારે સારું રહેશે.
મેં કેજરીવાલને 2 કરોડ લેતા જોયા છે
કપિલ મિશ્રાએ આરોપ મુક્યો છે કે, અરવિંદ કેજરીવાલે તેમની સામે 2 કરોડ રૂપિયાની લાંચ લીધી છે. જો કે, પ્રશ્ન એ છે કે કપિલ મિશ્રાને કઇ રીતે ખબર પડી કે એ 2 કરોડ રૂપિયા જ હતા. આ અંગે કપિલ મિશ્રાનું કહેવું છે કે, તેમણે જાતે સતેન્દ્ર જૈનને કહેતા સાંભળ્યાં છે કે આ 2 કરોડ રૂપિયા છે. પરંતુ આ અંગે જ્યારે કપિલે કેજરીવાલને સવાલ પૂછ્યો તો કેજરીવાલે કહ્યું હતું કે, રાજકારણમાં એવી ઘણી વાતો હોય છે જે અત્યારે કહી ના શકાય.
50 કરોડની જમીનની ડીલ
કપિલ મિશ્રાએ આગળ કહ્યું કે, વાત માત્ર બે કરોડની નથી. મને મળેલ જાણકારી અનુસાર કેજરીવાલના કોઇ સગા સંબંધી માટે 50 કરોડ રૂપિયાની જમીનની ડીલ પણ થઇ છે. આ ડીલ સતેન્દ્ર જૈને જાતે કરાવી છે. કપિલ મિશ્રાએ સ્પષ્ટ શબ્દોમાં અરવિંદ કેજરીવાલને ભ્રષ્ટાચારી કહેતાં કડક કાર્યવાહીની માંગ કરી છે. મેં એલજી સામે મારું નિવેદન મુક્યું છે, હવે હું તમામ પુરાવાઓ અને તથ્યો સીબીઆઇ અને એસીબી સામે મુકીશ.
કેજરીવાલની નિયત પર સવાલ
આ બે ગંભીર આરોપો સિવાય પણ કપિલ મિશ્રાએ કેજરીવાલ પર અનેક આરોપો મુક્યા છે. તેમણે કહ્યું કે, જ્યારે પણ મને કે પાર્ટીના અન્ય નેતાઓને પાર્ટીની અંદર થતા ભ્રષ્ટાચારની જાણકારી મળી ત્યારે અમને થતું કે અરવિંદ કેજરીવાલ અપ્રમાણિક ન હોઇ શકે. આ વિશ્વાસને કારણે જ અમે આ વાતો લોકો સામે નહોતી મૂકી. અમને ખાતરી હતી કે, જ્યારે કેજરીવાલને આ અંગે જાણકારી મળશે તો તેઓ જરૂર કાર્યવાહી કરશે.
સૌને પ્રમાણિકતાના સર્ટિફિકેટ મળી રહ્યાં છે
સતેન્દ્ર જૈન અને પૂર્વ કાયદા મંત્રી તોમરના મામલે વાત કરતાં કપિલ મિશ્રાએ કહ્યું કે, પહેલાં તોમર સાહેબને પણ પ્રમાણિકતાનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું અને તેમને સાચા સાબિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. કંઇક એવું જ સતેન્દ્ર જૈનના મામલે પણ થઇ રહ્યું છે. બધા જાણે છે કે સતેન્દ્ર જૈન ભ્રષ્ટાચારના મામલે સંડોવાયેલા છે, આમ છતાં એમની વિરુદ્ધ કોઇ કાર્યવાહી નથી થઇ. આજે ફરી એકવાર સતેન્દ્ર જૈનને બચાવવામાં આવી રહ્યાં છે અને તેમને પ્રમાણિકતાનું સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યું છે.
શું કેજરીવાલ-સિસોદિયા ખોટું બોલી રહ્યાં છે?
પોતાના પર લગાવવામાં આવેલ આરોપો પર કપિલ મિશ્રાએ કહ્યું કે, વારે-વારે એક જ વાત કહેવામાં આવી રહી છે કે પાણીની સમસ્યાને કારણે મને પદ પરથી ખસેડવામાં આવ્યો છે. પરંતુ નગર નિગમ ચૂંટણી દરમિયાન સિસોદિયા અને કેજરીવાલે પોતાના નિવેદનો ફરીથી સાંભળ્યા, શું તેઓ અત્યાર સુધી ખોટું બોલી રહ્યાં હતા? કે પછી કોઇ કારણસર તેમણે આ વાત કહેવી પડી હતી. આખી કેબિનેટમાં હું એકમાત્ર એવો મંત્રી છું, જેની પર ભ્રષ્ટાચારનો કોઇ આરોપ નથી, છેલ્લા 2 વર્ષમં મારી પર એક પણ આરોપ નથી લાગ્યો. હું આમ આદમી પાર્ટી નહીં છોડું અને કોઇ મને આ પાર્ટીમાંથી કાઢી નહીં શકે. આ મારી પાર્ટી છે, કાર્યકર્તાઓની પાર્ટી છે, પ્રમાણિકોની પાર્ટી છે. પાર્ટીની અંદર ગંદકી આવી છે, તો એને સાફ કરવાનું કામ અમે કરીશું.
{promotion-urls}