યુપીના મુખ્યમંત્રી પદથી કેમ દૂર ભાગી રહ્યાં છે રાજનાથ સિંહ?
રાજનાથ સિંહ યુપીના રાજકારણમાં પાછા નથી ફરવા માંગતા, તેઓ યુપીના મુખ્યમંત્રી પદને કેમ નકારી રહ્યાં છે?
ઉત્તર પ્રદેશ માં ભાજપ ના શાનદાર વિજય બાદ પાર્ટી હજુ પણ મુખ્યમંત્રી કોને બનાવવા એ અંગે મૂંઝવણમાં છે. આ રેસમાં ગૃહ મંત્રી રાજનાથ સિંહ નું નામ સૌથી ઉપર છે. પાર્ટીના સૂત્રોનું માનીએ તો રાજનાથ સિંહનું નામ મુખ્યમંત્રી પદ માટે લગભગ ફાઇનલ છે અને જલ્દી જ આ અંગે જાહેરાત કરવામાં આવશે. પરંતુ રાજનાથ સિંહે યુપીની ચૂંટણી પહેલાં જ પોતાને યુપીના મુખ્યમંત્રીના દાવેદાર ગણવાની ના પાડી હતી. શા માટે રાજનાથ સિંહ યુપીના સીએમ પદથી દૂર રહેવા માંગે છે?
યુપીમાં 15 વર્ષ બાદ વાપસી
રાજનાથ સિંહ બે વાર યુપીના મુખ્યમંત્રી બની ચૂક્યાં છે અને તેમના અનુભવને આધારે જ ભાજપ ફરીથી તેમને આ પદ સોંપવાની તૈયારી કરી રહ્યું છે. રાજનાથ સિંહ વર્ષ 2003થી 2004 વચ્ચે યુપીના સીએમ બન્યા હતા, તે સમયે કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી. વર્ષ 2014માં જ્યારે ભાજપે લોકસભા ચૂંટણીમાં વિજય મેળવ્યો ત્યારે રાજનાથ સિંહ ભાજપના અધ્યક્ષ હતા અને તેમને દેશના ગૃહ મંત્રી નિમવામાં આવ્યા. એવામાં હવે ફરીથી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પદની જવાબદારી સંભાળવી એ તેમના માટે 15 વર્ષ જૂની રાજનીતિમાં પાછા જવા જેવું થશે.
દેશના ગૃહ મંત્રીનું પદ વધુ મોટું
દેશના ગુહમંત્રીનું પદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીના પદ કરતાં ઘણું મોટું છે. તમામ રાજ્યોના ગૃહ મંત્રીઓ અને પોલીસના વડા દેશના ગૃહ મંત્રીને રિપોર્ટ કરે છે, દેશના તમામ રાજ્યોના રાજ્યપાલ પણ ગૃહ મંત્રીને રિપોર્ટ કરે છે, એવામાં આ પદ છોડી એક રાજ્યના મુખ્યમંત્રી બનીને બેસવું તેમને સ્વીકાર્ય ન હોય એ સમજી શકાય એવી બાબત છે. ઉત્તર પ્રદેશ દેશનું સૌથી મોટું રાજ્ય છે, આમ છતાં દેશના ગૃહ મંત્રીનું પદ જ વધુ ઊંચુ ગણાય.
રાજકારણીય પ્રગતિ પર રોક
રાજનાથ સિંહે વર્ષ 1984માં ભાજપના યૂથ વિંગના અધ્યક્ષ તરીકે પોતાની રાજકારણની કારકીર્દીની શરૂઆત કરી હતી અને વર્ષ 2000માં પહેલી વાર યુપીના મુખ્યમંત્રી બન્યા હતા, ત્યાર બાદ તેઓ કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા. રાજનાથ સિંહની કારકીર્દીમાં નવો વળાંક ત્યારે આવ્યો, જ્યારે વર્ષ 2006થી 2009 સુધી તેમને પાર્ટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા, ત્યાર બાદ વર્ષ 2014માં તેમને ફરીથી પાર્ટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. હવે રાજકારણમાં આટલે આગળ આવ્યા બાદ ફરી એકવાર યુપીના મુખ્યમંત્રી પદે પાછા જવું રાજનાથ સિંહની રાજકારણની કારકીર્દીની પ્રગતિને અટકાવવાનું કામ કરી શકે છે.
વિકાસ કાર્યોનો શ્રેય મળવો મુશ્કેલ
યુપીમાં ભાજપને મળેલ પ્રચંડ બહુમત અને જીતનો બધો શ્રેય પહેલેથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી ચૂક્યો છે. એવામાં રાજનાથ સિંહ જો યુપીના મુખ્યમંત્રી બને તો પણ પ્રદેશમાં થયેલ વિકાસનો શ્રેય એમને નહીં મળે. વર્ષ 2014માં રાજનાથ સિંહની આગેવાની હેઠળ જ ભાજપે યુપીમાં 71 બેઠકો મેળવી હતી, પરંતુ તેનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યો હતો. એ જ રીતે હવે ઉત્તર પ્રદેશમાં પણ જે વિકાસના કાર્યો થશે, તેનો શ્રેય વડાપ્રધાનના ખાતામાં જ જશે.
2019માં યુપીમાં મોટા પડકારો
ઉત્તર પ્રદેશમાં ભાજપ સામે ઘણા પડકારો છે, પ્રદેશની કાયદાકીય વ્યવસ્થા સુધારવી એ સરકારનું સૌથી મોટું લક્ષ્ય છે, સાથે જ પ્રદેશની બેરોજગારી અને આર્થિક વ્યવસ્થાને પાટા પર લાવવી પણ મોટો પડકાર છે. યુપીમાં આગળની સરકારના કાર્યકાળમાં ઘણી સાંપ્રદાયિક ઘટનાઓ પણ ઘટી છે, એ રીતે પણ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીને ઘણા પડકારોના સામનો કરવાનો રહેશે. આવી પરિસ્થિતમાં જો રાજનાથ સિંહ યુપીના સીએમ બને, તો રાજકારણીય ક્ષેત્રે હંમેશા તેમની કસોટી થતી રહેશે. વર્ષ 2019માં થનાર લોકસભા ચૂંટણીઓમાં પણ યુપી ફરી એકવાર મહત્વની ભૂમિકા ભજવશે.
અહીં વાંચો