આગ્રામાં એક પછી એક થયા બે બ્લાસ્ટ, કોઇ જાન હાની નહિ
આગ્રામાં શનિવારે સવારે 7 વાગે થયા બે બોમ્બ બ્લાસ્ટ. પણ પોલીસનું કહેવુ છે કે આ છે યોગાનુયોગ. જાણો કેમ?
આગ્રામાં શનિવારે સવારે એક પછી એક બે બ્લાસ્ટ થયા. પહેલો ધડાકો આગ્રાનાં કેન્ટ રેલ્વે સ્ટેશનના પાંચમાં પ્લેટર્ફોમ પાસે થયો હતો. તો બીજો ધડાકો તેનાથી લગભગ 200 મીટર દૂર અશોક નામના વ્યક્તિના મકાનમાં થયો હતો. જો કે આ ધમાકામાં કોઇ જાનહાનિ થઇ હોવાના સમાચાર નથી મળ્યા. પણ આગ્રામાં થોડા સમય પહેલા જ તાજમહેલને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી. તે પછી આ બ્લાસ્ટથી લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે.
ઉલ્લેખનીય છે કે બન્ને ધમાકા સવારે 7 વાગેની આસ પાસ થયા હતા. જે બાદ ધટના સ્થળે આઇજી અને ડીઆઇજી સમેત પોલીસ કાફલો પહોંચી ગયો હતો. નોંધનીય છે કે શુક્રવાર રાતે ભંડઇ રેલ્વે સ્ટેશન પાસે આંડમાન એક્સપ્રેસને ટ્રેક પર પથ્થર મૂકીને ઉતારી દેવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે પછી બ્લાસ્ટની આ ધટનાએ આગ્રાની સુરક્ષાને લઇને અનેક સવાલ ઉભા કર્યા છે.
જો કે પોલીસનુ કહેવું છે કે આ બન્ને ધમાકા પાછળ કોઇ આંતકી ગતિવિધિનો હાથ નથી. પણ ભાજપના સત્તામાં આવવાથી અને લખનઉમાં આંતકી સૈફલ્લાની મોત પછી બની રહેલી આ ધટનાએ લોકોના મનમાં અનેક સવાલ ઉભા કર્યા છે. હાલ, પોલીસ આ બન્ને બ્લાસ્ટ પાછળના કારણો તપાસી રહી છે. ત્યારે પોલીસ તપાસ બાદ જ ખબર પડશે કે આ બન્ને ધમાકા પાછળ કોઇ આંતકી સંગઠનનો હાથ છે કે નહીં? પણ તેમ છતાં લોકોમાં હાલ ભયનો માહોલ છે.