સપા ઉમેદવારોની પહેલી યાદી જાહેર, સપા-કોંગ્રેસના ગઠબંધન પર ગ્રહણ
સપાની યાદીમાં અતીક અહમદનું નામ નથી. અખિલેશ યાદવે કાકા શિવપાલ યાદવને જસવંત નગરની સીટની ટિકિટ આપી છે.
ઉત્તર પ્રદેશમાં આગલા મહીને યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભજપ, સપા અને બસપા વચ્ચે મુખ્ય હરીફાઇ થનાર છે. છેલ્લા ઘણા સમયથી ચર્ચા હતી કે સપા-કોંગ્રેસ અને રાષ્ટ્રીય લોકદળ વચ્ચે મહાગઠબંધન થઇ શકે છે. સપા અને કોંગ્રેસ ભલે રાલોદના નામ પર કંઇ ન કહેતા હોય, પરંતુ સપા-કોંગ્રેસ સાથે ચૂંટણી લડવાની વાત પર બંન્ને નેતાઓએ હામી ભરી રહ્યાં હતા. આ તમામ ચર્ચાઓ વચ્ચે આજે શુક્રવારના રોજ સમાજવાદી પાર્ટીએ પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે, જેના પરથી લાગી રહ્યું છે કે સપા અને કોંગ્રેસ અલગ અલગ ચૂંટણી લડશે.
યુપીના મુખ્યમંત્રી અખિલેશ યાદવે સપાની પહેલી યાદી જાહેર કરી છે, જેમાં 191 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં 36 જિલ્લાના ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે.
શિવપાલ યાદવને જસવંતનગરની સીટની ટિકિટ મળી
અખિલેશ યાદવના નેતૃત્વની સમાજવાદી પાર્ટીની પહેલી યાદીમાં કાકા શિવપાલ યાદવને જસવંત નગર સીટની ટિકિટ આપવામાં આવી છે. રામપુરથી આઝમ ખાન ચૂંટણી લડશે, શામલીથી મનિષ ચૌહાણ અને નોએડાથી સુનીલ ચૌધરીને ટિકિટ આપવમાં આવી છે. અખિલેશ યાદવની આ યાદીમાં અતીક અહમદનો સમાવેશ કરવામાં આવ્યો નથી. અતીક અહમદની જગ્યાએ કાનપુર કેન્ટથી મેહમ્મદ હસન રૂમીને ટિકિટ આપવામાં આવી છે.
આ સૂચિમાં આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લા આઝમને પણ ટિકિટ આપવામાં આવી છે. અબ્દુલ્લા આઝમને રામપુરની સ્વાર સીટની ટિકિટ આપવામાં આવી છે. નરેશ અગ્રવાલના પુત્ર નિતિન અગ્રવાલને પણ ટિકિટ આપવામાં આવી છે, તેમને હરદોઇની ટિકિટ મળી છે. દાદરીથી રાજકુમાર ભાટી અને લખીમપુરથી ઉત્કર્ષ વર્માને ટિકિટ આપવામાં આવી છે. કૈરાનાથી નાહિદ હસન, બુઢાનાથી પ્રમોદ ત્યાગી, સરધનાથી અતુલ પ્રધાન, મથુરાથી અશોક અગ્રવાલ, રામનગરથી અરવિંદ ગોપને ટિકિટ આપવામાં આવી છે. સાહિબાબાદથી વિરેન્દ્ર યાદવ, ગાઝિયાબાદથી સાગર શર્મા, હાપુડથી તેજપાલ, ગઢમુક્તેશ્વરથી મદાન ચૌહાણને ટિકિટ આપવામાં આવી છે.
યુપી ચૂંટણી માટે સપા અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું હોવાની ચર્ચા હતી. ત્યાર બાદ સપા દ્વારા 191 ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ટિકિટની વહેંચણીમાં અખિલેશ યાદવની અસર સાફ જોઇ શકાય છે, સાથે જ મુલાયમ સિંહ યાદવ દ્વારા મોકલવામાં આવેલી ઉમેદવારોની યાદીનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.
અહીં વાંચો - ગુજરાત બજેટ : 21મી ફેબ્રુઆરીએ નીતિન પટેલ રજૂ કરશે બજેટ
આમાંથી 10થી વધુ સીટો એવી છે, જેની પર કોંગ્રેસના ધારાસભ્યો છે, આમ છતાં સપાએ પોતાના ઉમેદવારો ઘોષિત કર્યા છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે ઘણા સમય પહેલા પોતાના તમામ સીટિંગ એમએલએ ને ટિકિટ આપવાની જાહેરાત કરી હતી. આ જોતાં હવે આ કોંગ્રેસ અને સપાની ગઠબંધન થશે કે કેમ એ અંગે શંકા જાગી છે. આમાંથી ગણી સીટો એવી છે, જેની પર કોંગ્રેસ સમાધાન કરે એવી શક્યતા ઓછી છે, કારણ કે આ સીટો પરથી પાર્ટીના મોટા નેતાઓ ચૂંટણી લડી રહ્યાં છે.