વરુણ ગાંધીની બળવાખોરી સામે ભાજપની કાર્યવાહી
ભાજપના સાંસદ વરુણ ગાંધીએ ઇન્દોરમાં એક શાળામાં આયોજીત કાર્યક્રમ દરમિયાન મોદી સરકારની નીતિઓ વિરુદ્ધ નિવેદન આપ્યું હતું.
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માં જામેલા ઘમાસાણમાં ભાજપ ના સાંસદ વરુણ ગાંધીએ બળવાખોરી વલણ અપનાવતા ભાજપે તેમની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. ભારતીય જનતા પાર્ટીના છઠ્ઠા અને સાતમા ચરણના વિધાનસભા ચૂંટણીના પ્રચારકોની સૂચિમાંથી તેમનું નામ બાકાત કરવામાં આવ્યું છે. વરુણ ગાંધી નું નામ બાકાત કર્યા બાદ પાર્ટી દ્વારા તેમની જગ્યાએ કેન્દ્રિય મંત્રી મનોજ સિન્હાનું નામ દાખલ કરવામાં આવ્યું છે.
મોદી સરકારની નીતિઓ સામે બળવો
ભાજપના સાંસદ વરુણ ગાંધીએ ઇન્દોરમાં એક શાળામાં આયોજિત કાર્યક્રમમાં મોદી સરકારની નીતિઓ વિરુદ્ધ બળવો કરતા નિવેદનો કર્યાં હતા. વરુણ ગાંધીએ કાર્યક્રમમાં ખેડૂતોની આત્મહત્યાના મુદ્દે વાત કરતાં કહ્યું હતું કે, ઉધારની વસૂલાતમાં સરકાર ભેદભાવ કરી રહી છે. મોટા ઉદ્યોગપતિઓનું ઉધાર માફ કરવામાં આવે છે, જ્યારે ગરીબ ખેડૂતોને ઉધાર ચૂકવવા માટે મજબૂર કરવામાં આવે છે.
ખેડૂતો પર અત્યાચાર, વિજય માલ્યાને લીલાલ્હેર
તેમણે આગળ કહ્યું કે, અત્યાર સુધીમાં ઉધાર ન ભરી શકવાને કારણે 50 હજારથી વધુ ખેડૂતો આત્મહત્યા કરી ચૂક્યાં છે, તો બીજી બાજુ વિજય માલ્યા 9 હજાર કરોડ લઇને ભાગી ગયો હોવા છતાં તેની વિરુદ્ધ કોઇ કાર્યવાહી થઇ નથી. ઉધાર વસૂલ કરવાના નામે વિજય માલ્યાના ગેરેન્ટર તરીકે જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, તેના બેંક ખાતામાં માત્ર 1100 રૂપિયા મળ્યા હતા. એ વ્યક્તિ આજે જેલમાં છે અને વિજય માલ્યા વિદેશમાં મજા કરી રહ્યા છે.
દલિત વર્ગના મુદ્દે પણ કરી હતી ટિપ્પણી
આ જ કાર્યક્રમમાં તેમણે હૈદ્રાબાદના દલિત પીએચડી વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, જ્યારે મેં રોહિતની સુસાઇડ નોટ વાંચી તો મારી આંખમાં આંસુ આવી ગયા. તેમણે દલિતોના મુદ્દે કહ્યું કે, આપણું બંધારણ જાતિ કે ધર્મના નામે કોઇ પણ નાગરિક સાથે ભેદભાવ કરવાની પરવાનગી નથી આપતું. આમ છતાં હકીકત એ છે કે, આપણા દેશમાં અનુસૂચિત જાતિ વર્ગના લગભગ 37 ટકા લોકો આજે પણ ગરીબી રેખાની નીચે જીવે છે.
યુપીની ચૂંટણીમાં ટિકિટ વિતરણથી નારાજ વરુણ ગાંધી
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તરફથી વરુણ ગાંધીને ખાસ મહત્વ આપવામાં નથી આવ્યું. પહેલા બંન્ને ચરણમાં સ્ટાર પ્રચારકોની સૂચિમાંથી વરુણ ગાંધીનું નામ ગાયબ હતું. ત્રીજા અને ચોથા ચરણની સૂચિમાં તેમના નામનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમના બળવાખોરી વલણને જોતાં હવે છઠ્ઠા અને સાતમા ચરણમાંથી તેમનું નામ બહાર કરવામાં આવ્યું છે. કહેવાઇ રહ્યું છે કે, ટિકિટ વિતરણ મામલે વરુણ ગાંધી ભાજપથી નારાજ છે.
અહીં વાંચો