શું મુલાયમ અને અખિલેશનો ઝગડો માત્ર એક નાટક હતું?
અમર સિંહે કહ્યું કે, છેલ્લા થોડા દિવસોમાં સપામાં જે કંઇ થયું એ બધું માત્ર એક નાટક હતું, છેલ્લે અંતમાં એ જ થયું જે અખિલેશ યાદવ ઇચ્છતા હતા, મને અને શિવપાલને સાઇડલાઇન કરવામાં આવ્યા.
આખરે સપાની બહાર થયેલા સીએમ અખિલેશ યાદવ ના તથાકથિત પ્રિય કાકા અમર સિંહે સપા ના દંગલ પર ખુલીને ટિપ્પણી કરી છે. એક પછી એક ખુલાસાઓ કરીને તેમણે આ સંપૂર્ણ પ્રકરણને નવી દિશા આપી છે. ઇન્ડિયા ટીવીના લોકપ્રિય શો 'આપ કી અદાલત'માં મહેમાન બનીને આવેલા અમર સિંહે સપાના દંગલ અંગે ખુલીને વાતચીત કરીને લોકોને ચોંકાવી દીધા, જેનું પરિણામ આવનાર ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માં સપાએ ભોગવવું પડી શકે છે.
આ આખું નાટક હતુંઃ અમર સિંહ
અમર સિંહે કહ્યું કે, છેલ્લા થોડા દિવસોમાં સપામાં જે થયું, તે માત્ર એક નાટક હતું. છેલ્લે એ જ થયું જે અખિલેશ યાદવ ઇચ્છતા હતા. મને અને શિવપાલને સાઇડલાઇન કરવામાં આવ્યા. નેતાઓને પાર્ટીમાંથી બહાર કાઢવા એ પણ એક નાટક હતું, અંતમાં શું થયું? શિવપાલ સિંહ બેસી રહ્યાં, એ હું હતો જેણે લગ્ન(અખિલેશ અને ડિમ્પલ)ની તમામ વ્યવસ્થા કરી, કેક કોણે કાપી અને કોણે કેકનો ટુકડો મારા મોઢામાં મુક્યો, હું આઉટસાઇડર થઇ ગયો.
બધું મુલાયમના કહેવાથી થયું
'હું આજે જે કંઇ કરી રહ્યો છું, એ મુલાયમ સિંહની પરવાનગીથી જ કરી રહ્યો છું. મને પાર્ટીમાંથી કાઢવામાં આવ્યો અને મુલાયમે કહ્યું કે જે બોલવું હોય એ બોલો. મુલાયમ સિંહ વાતે-વાતે પલટાઇ જાય છે, તેઓ બીજા સામે અખિલેશ અંગે ખૂબ ખરાબ બોલે છે અને પછી જાતે જ જઇને આશીર્વાદ આપી આવે છે, આ નાટક નહીં તો બીજું શું છે?'
મુલાયમ સિંહના કહેવાથી જ ચૂંટણી પંચે 'સાયકલ' અખિલેશને આપી
અમર સિંહે અન્ય એક ચોંકાવનારો ખુલાસો કરતાં કહ્યું કે, એ મુલાયમ સિંહ યાદવ જ હતા જેમણે છેલ્લે ચૂંટણી પંચને લખ્યું કે, સાયકલનું ચૂંટણી ચિહ્ન તેમના દિકરા અખિલેશને આપવામાં આવે. દરેક બાપ પોતાના દિકરાથી હારવા માંગે છે અને મુલાયમ સિંહ પણ આખરે પોતાના દિકરાથી હારી ગયા. આ આખો ઝગડો માત્ર બનાવટી હતો.
અભદ્ર ગાળો આપવામાં આવી
અખિલેશ યાદવ પર નિશાન સાધતાં અમર સિંહે કહ્યું કે, મને ખલનાયકની જેમ રજૂ કરવામાં આવ્યો, અભદ્ર ગાળો આપવામાં આવી, વડીલોનું અપમાન કરવું ભારતની પરંપરા નથી. હું હંમેશાથી મુલાયમવાદી હતો અને આથી મારા માટે અખિલેશ યાદવ હંમેશા મુલાયમ સિંહના પુત્ર રહેશે, તેઓ ભલે મને ગમે તે કહે, હું હંમેશા એને એમ જ કહી કે બેટા મને મારતા તને હાથમાં દુખશે.
કોંગ્રેસ કોઇનું સગુ નથી
સપા-કોંગ્રેસના ગઠબંધન અંગે અમર સિંહે કહ્યું કે, કોંગ્રેસ કોઇનું સગુ નથી, ઇતિહાસ જોઇ લો, કોંગ્રેસે સરકાર પાડવાનું કામ કર્યું છે. દેવગૌડા, ગુજરાલ અને ચંદ્રશેખરની સરકાર ધારાશયી થયા બાદ તેમણે આ માટે કોંગ્રેસને જ જવાબદાર ઠેરવી હતી. બંન્ને યુવા નેતાઓ (રાહુલ અને અખિલેશ) યુવાન અને સુંદર છે અને પોત-પોતાના વારસાનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. મુલાયમ ભલે આ ગઠબંધનનો વિરોધ કરતાં હોય, પરંતુ તો તેઓ ત્રણ કલાક સુધી પ્રિયંકા ગાંધી સાથે શું વાત કરી રહ્યાં હતા.
આઝમ ખાન દેશદ્રોહીઃ અમર સિંહ
રાજકારણીય હરીફ આઝમ ખાનને અમર સિંહે દેશદ્રોહી કહ્યાં હતા. તેમણે કહ્યું કે, આઝમ ખાને જાહેરમાં કહ્યું હતું કે, કાશ્મીર ભારતનું અંગ નથી. જે પાર્ટીના નેતા ગુલામ નબી આઝાદ વિરુદ્ધ આઝમ ખાને ઝેર ઓક્યું હતું, આજે એ જ કોંગ્રેસે સપા સાથે હાથ મિલાવ્યો છે. આઝમ ખાન જેવા લોકો ગંદકી અને નફરત ઉત્પન્ન કરે છે.
અહીં વાંચો
યુપી ચૂંટણી 2017: પહેલા ચરણનું મતદાન પૂર્ણ, મથુરામાં 68.3 ટકા મતદાન