અખિલેશે સ્વીકારી હાર, ભાજપને આપી જીતની શુભકાનાઓ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે કહ્યું કે, તેઓ જનમતનું સન્માન કરે છે અને ભાજપના વિજય પર તેમણે શુભકામના પાઠવી છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે વિધાનસભા ચૂંટણી પરિણામ અંગે કહ્યું કે, તેઓ જનમતનું સન્માન કરે છે અને ભાજપ ના વિજય પર તેમણે શુભકામના પાઠવી છે. તેમણે ક્હયું કે, વડાપ્રધાને ખેડૂતોને વાયદો કર્યો છે કે તેઓ તેમનો ઉધાર માફ કરશે. આશા છે કે, પહેલી કેબિનેટ મીટિંગમાં જ ઉધાર માફ કરવામાં આવશે. વડાપ્રધાન તરીકે તેમણે આ નિવેદન કર્યું હતું તો તેમણે આખા દેશના ખેડૂતોનું ઉધાર માફ કરવું જોઇએ. તેમણે દાવો કર્યો છે કે, 100 નંબરની સેવા જેવી યુપીમાં છે, એવી આખા દેશમાં ક્યાંય નથી.
ચૂંટણી પરિણામોની હાર અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી હું છું, હું હારની સમીક્ષા કરીશ અને સમીક્ષા કર્યા બાદ જ કોઇ પણ વાતની જવાબદારી લઇશ. અમે જોવા માંગીએ છીએ કે, પ્રદેશમાં સમાજવાદીઓથી પણ સારું કામ કઇ કરી શકે છે.
અહીં વાંચો - માયાવતી બોલ્યાંઃ વોટર નહીં, વોટર મશીને અપાવી ભાજપને જીત
ઇવીએમ મશીનની તપાસ કરશે અખિલેશ
માયાવતી એ ઇવીએમ મશીન પર કરેલા સવાલ પર અખિલેશ યાદવે કહ્યું કે, જો માયાવતીને એવી શંકા હોય તો સરકારે આ અંગે તાપસ કરવી જોઇએ. હું પણ મારા સ્તરે આ મામલાની તપાસ કરીશ. કોઇએ સવાલ કર્યો છે તો એની તપાસ થવી જોઇએ. કોંગ્રેસ સાથેના ગઠબંધન અંગે અખિલેશ યાદવે કહ્યું કે, મને ગઠબંધનની ખુશી છે, તેનાથી પાર્ટીને ફાયદો થયો છે અને આગળ પણ ગઠબંધન ચાલુ રહેશે. વર્ષ 2019ની ચૂંટણી અંગે અખિલેશે કહ્યું કે, પહેલાં પ્રદેશ સરકારના કેબિનેટનો નિર્ણય આવવા દો, 2019 તો દૂરની વાત છે.
'લોકોને એક્સપ્રેસ વે પસંદ ન પડ્યા, હવે બૂલેટ ટ્રેન આવશે'
હારથી હતાશ અખિલેશ યાદવે કહ્યું કે, મારી રેલીઓમાં ઘણા લોકો આવ્યા હતા, કદાચ લોકો હાથમાં મોબાઇલ લઇને માત્ર જોવા આવ્યા હતા અને વોટ કોઇક બીજાને આપી દીધા. અમે એક્સપ્રેસ વે બનાવ્યા, જે લોકોને પસંદ ના પડ્યા, હવે કદાચ યુપીમાં બુલેટ ટ્રેન આવશે. મેં 55 લાખ લોકોને પેન્શન આપ્યું, હવે આવનારી સરકાર 1000થી વધુ લોકોને પણ પેન્શન આપશે.
અહીં વાંચો - UP Election Result 2017 Live:320 બેઠક પર BJPની જીત
'કોંગ્રેસ સાથેનું ગઠબંધન, 2 નેતાઓનું ગઠબંધન છે'
તેમણે આગળ કહ્યું કે, ચૂંટણી સમયે જે લોકો સમાજવાદી પાર્ટી સાથે ઊભા રહ્યાં તેમનો હું આભાર માનું છું. જ્યાં સુધી લોકો અમારાથી સારું કામ ન કરે, ત્યાં સુધી અમારું જ કામ બોલશે. અમને જેટલા મત મળવા જોઇતા હતા, 29 ટકા, એટલા અમને મળ્યા. કોંગ્રેસ સાથે ગઠબંધનથી અમને લાભ થયો છે, આ ગઠબંધન યોગ્ય છે, આ બે નેતાઓનું ગઠબંધન છે.