3700 કરોડના ઓનલાઇન ગોટાળામાં બહાર આવ્યું સની લિયોનનું નામ
ગોટાળાના મુખ્ય આરોપી અનુભવ મિત્તલની ધરપકડ બાદ સની લિયોન અને અમિષા પટેલ સાથે તેમની તસવીર સામે આવી હતી.
ઉત્તર પ્રદેશ માં નોઇડા ના 3700 કરોડ રૂપિયાના ઓનલાઇન ગોટાળામાં બોલિવૂડની જાણીતી અભિનેત્રી સની લિયોન ની મુશ્કેલીઓ વધી રહી છે. યુપી એસટીએફ આ ગોટાળા અંગે સની લિયોનની પૂછપરછ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, આ ગોટાળાના મુખ્ય આરોપી અનુભવ મિત્તલે પોતાના ઇ-કોમર્સ લોન્ચિંગના પ્રસંગે સની લિયોનને આમંત્રણ આપ્યું હતું. એસટીએફનું કહેવું છે કે 'પ્રાઇઝ ચિટ્સ એન્ડ મની સર્ક્યૂલેશન સ્કીમ એક્ટ 1978' હેઠળ આ પ્રકારની સ્કીમનો પ્રચાર કરવો ગેરકાયદેસર છે.
એસટીએફ ને અનુભવ મિત્તલના ઇ-કોમર્સ પોર્ટલના લોન્ચિંગ સમયે સની લિયોન હાજર રહી હોવાના પુરાવા અને તસવીરો મળી છે. એસટીએફ ના અધિકારીએ કહ્યું કે, આ ગોટાળાની તપાસ દરમિયાન જો જરૂર પડી તો બોલિવૂડ અભિનેત્રીની પણ પૂછપરછ થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, ગોટાળાના મુખ્ય આરોપી અનુભવ મિત્તલની ધરપકડ બાદ સની લિયોન અને અમિષા પટેલ સાથે તેમની તસવીર સામે આવી હતી. જો કે, પોલીસનું કહેવું છે કે આ તસવીરો એક જન્મદિવસ પાર્ટીની છે અને આ ગોટાળાની તપાસ સાથે એનો કોઇ સંબંધ નથી.
અહીં વાંચો - નોઇડામાં 3700 કરોડના ઓનલાઇન છેતરપિંડીનો ભાંડો ફુટ્યો, ત્રણની ધરપકડ
6.5 લાખ લોકો બન્યા દગાબાજીનો શિકાર
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશ પોલીસ અને એસટીએફના એક જોઇન્ટ ઓપરેશનમાં 3700 કરોડ રૂપિયાની ઓનલાઇન છેતરપિંડીના એક મોટા રેકેટનો ખુલાસો થયો હતો, જેમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પર આરોપ હતો કે તેમણે 6.5 લાખ લોકોને દગાબાજીનો શિકાર બનાવ્યા છે. તેમણે નોઇડાના સેક્ટર 63માં અબ્લેઝ ઇન્ફો સોલ્યૂશન્સના નામથી ઓફિસ ખોલી હતી અને સોશિયલ મીડિયા પર એક લાઇકના બદલે પાંચ રૂપિયા આપવાની વાત કરી લોકોને છેતરતા હતા. ધરપકડ થયેલા લોકોમાં કંપનીના માલિક અનુભવ મિત્તલ સહિત શ્રીધર પ્રસાદ અને મહેશ દયાલનો પણ સમાવેશ થાય છે. પોલીસે ધરપકડ સાથે જ 500 કરોડ રૂપિયા પણ કબજે કર્યા હતા.
5750 રૂપિયાથી લઇને 57,500 રૂપિયા સુધીની હતી મેમ્બરશિપ
પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓ 'socialtrade.biz' નામથી એક પોર્ટલ ચલાવતા હતા અને લોકોને પૈસાની કમાણીની લાલચ આપી તેમની પાસે રોકાણ કરાવતા હતા. તેઓ 5750 રૂપિયાથી લઇને 57,500 રૂપિયા સુધી કંપનીના એકાઉન્ટમાં જમા કરી લોકોને મેમ્બર બનાવતા હતા અને એક ક્લિકના 5 રૂપિયા આપતા હતા. એસટીએફ ના એસ.પી ત્રિવેણી સિંહે કહ્યું કે, કંપની એબ્લેઝ ઇન્ફો સોલ્યૂશન્સ પ્રાઇવેટ લિમિટેડ ના નામથી રજિસ્ટર હતી અને આ લોકો સતત પોર્ટલનું નામ બદલતા રહેતા હતા. આ રીતે તેમણે લગભગ 6.5 લાખ લોકોને દગાબાજીનો શિકાર બનાવ્યા છે અને તેમની પાસેથી 3700 કરોડ રૂપિયા એઠી લીધા છે.
અહીં વાંચો - વિદેશમાં ભારતીયોનું કેટલું કાળું નાણું? અરુણ જેટલીએ જણાવ્યું..