જાણો: શું છે ગૌ માંસને લઇને થયેલો દાદરી હત્યાકાંડ?
ગ્રેટર નોઇડાના દાદરીમાં લાઉડસ્પીકર પર અનાઉન્સમેન્ટ બાદ અખલાકની થયેલી હત્યાએ ઘણાં સવાલ ઉભા કરી દીધા છે. એવી વાતો સામે આવી રહી છેકે ગત સોમવારે મોહમ્મદ અખલાકે (52) કથિત રીતે એક વાછરડાને કાપી નાખ્યુ હતુ. તેમજ તેના ઘરમાંથી બીફ મળી આવતા લગભગ 100 લોકોના ટોળાએ તેની માર મારીને હત્યા કરી નાખી હતી. આરોપ લગાવવામાં આવી રહ્યો છેકે મંદિરમાંથી લાઉડસ્પીકર પર ગૌ માંસને રાંધવાની અફવા ઉડી હતી.
પરંતુ ગામના એક વરિષ્ઠ નાગરિકનો દાવો છેકે સોશ્યિલ મિડીયા પર આવી તસવીરો અપલોડ કરીને અફવા ફેલાવવામાં આવી હતી. અને ત્યારબાદ આ ઘટનાએ સાંપ્રદાયિક સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ. જો કે તે તસવીર પણ છે, પણ તે તસવીરની સચ્ચાઇ પર શંકા હોવાથી અમે તેને અહીં શેર નથી કરી રહ્યાં. તો આવો જાણીએ શું છે, આખરે આ આખોય મામલો?
શું છે મામલો?
અખલાકના પરિવારે જણાવ્યું છેકે ગામના એક મંદિરના લાઉડસ્પીકર પરથી એવુ અનાઉન્સમેન્ટ થયુ હતુ કે ગાયને કાપીને તેમના ઘરમાં ગૌ માંસ રાંધવામાં આવી રહ્યું છે. અખલાકની પત્નીએ જણાવ્યું કે આ એલાન બાદ રાત્રે લગભગ 10.30 કલાકે ગામના 14થી 15 લોકો હાથમાં વિવિધ હથિયાર સાથે ગાળો બોલતા તેના ઘર તરફ આવ્યા હતા, દરવાજાને ધક્કો મારીને અખલાક અને તેના પુત્ર દાનિશને મારવાની નિયતથી પીટવા લાગ્યા હતા. જ્યારે તેની પત્નીએ રોકવાની કોશિશ કરી તો તેને પણ ગાળો બોલી, મારીને ધકેલી દીધી હતી.
પોલીસની કામગીરી પણ આશ્ચર્યજનક હતી
હત્યાની જાણ થતા જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસ પણ અખલાકની હત્યાના પુરાવા એકઠા કરવાની જગ્યાએ એ તપાસમાં લાગી ગઇ હતી કે તેના પરિવારે ગૌ માંસ ખાધુ છેકે નહિં. પોલીસે અખલાકના ઘરમાંથી લોહીમાં લથપથ કપડા લેવાની જગ્યાએ ફ્રીઝમાં પડેલુ માંસ લીધુ હતુ અને તેને લેબમાં તપાસ માટે મોકલી આપ્યું હતુ કે શું તે ગૌ માંસ છેકે નહિં. પોલીસે થોડા સમય બાદ નિવેદન પણ આપ્યું હતુ કે તે ગાયનું નહિં પણ બકરીનું માંસ હતુ. પરંતુ મૂળ સવાલ એ હતો કે પોલીસ માટે હત્યાની જગ્યાએ માંસની તપાસ કરવાની પ્રાથમિક્તા શા માટે હતી?
વિસ્તારમાં કલમ 144 લાગુ
કેન્દ્રીય પ્રધાન શર્માને અખલાકના પરિવારના વિરોધનો સામનો પણ કરવો પડ્યો છે. શર્માની મુલાકાત બાદ આખાય વિસ્તારમાં કલમ 144 લગાડી દેવામાં આવી છે.
ડરથી મુસ્લિમો ગામ છોડી રહ્યાં છે
હત્યા બાદ ફેલાયેલી હિંસા તો થોભી ગઇ પણ હાલત હજી ગંભીર છે. ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલત એવી છેકે ઘટના બાદ 4 મુસ્લિમ પરિવારોએ ગામ છોડી દીધુ છે. તમને જણાવી દઇએ કે આ ગામમાં લગભગ 50 મુસ્લિમ પરિવાર છે.
બળજબરીપૂર્વક કરાવવામાં આવ્યું હતુ એલાન
તો મંદિરના પુજારીએ ખુલાસો કર્યો છેકે ઘટનાની રાત્રે બે લોકો જબરજસ્તીથી મંદિરમાં ઘુસી આવ્યા હતા. અને તેમણે ડરાવી ધમકાવીને આ ઘોષણા કરાવી હતી.
યુપીમાં રાજકારણ ગરમાયુ, બિહારમાં અસર
જ્યાં એક તરફ વિસ્તારમાં ભયનો માહોલ છે. તો આ મુદ્દે હવે યુપીનું રાજકારણ ગરમાયુ છે. તો તેની સીધી અસર બિહારમાં પણ જોવા મળી રહી છે. આ મુદ્દે હવે આક્ષેપ-પ્રતિઆક્ષેપ થઇ રહ્યાં છે.